“ઓવરઓલ ચેમ્પિયનશિપ બેનર-૨૦૨૩” માં એન.સી.સી.ગ્રુપ, રાજકોટની ટીમને સન્માનિત કરતા બ્રિગેડિયર એસ એન તિવારી

0
12

એન.સી.સી. ગ્રુપ, રાજકોટને એન.સી.સી. ડિરેક્ટોરેટ, ગુજરાત, દાદર અને નગર હવેલી, દમણ અને દીવના પાંચ જૂથો વચ્ચે “ઓવરઓલ ચેમ્પિયનશિપ બેનર-૨૦૨૩” માં અગ્રેસર રહેવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ અવસરે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઓડિટોરિયમ ખાતે એન.સી.સી. ગ્રુપ રાજકોટના કમાન્ડરશ્રી બ્રિગેડિયર એસ.એન. તિવારીની અધ્યક્ષતામાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજીત ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર ૨૦ કેડેટસ, ઈન્ડીયન મિલેટરી એકેડમી-દહેરાદૂન ખાતે તાલીમ મેળવનાર ૨ કેડેટ, કોમોડેશન કાર્ડ ફાયરિંગમાં ૧ ગર્લ કેડેટ, બેસ્ટ ઓફ ઓલ ઈવેન્ટમાં ૩૭ કેડેટ્સ અને અન્ય ૧૭ કેડેટ્સનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રિગેડિયર એસ.એન. તિવારીએ જણાવ્યું હતું કે રાજકોટ ગૃપને મળેલ એવોર્ડ તમામ રેન્કના અધિકારીઓ/કર્મચારીઓ, કેડેટ્સ, સીવીલીયન સ્ટાફની સખત મહેનત, સમર્પણ અને શ્રેષ્ઠતાની ભાવનાને આભારી છે. તમામ ઓફિસરોએ ખૂબ જ નિષ્ઠાથી વિદ્યાર્થીઓને તાલીમબધ્ધ કરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ એન.સી.સી. ગૃપ તમામ ક્ષેત્રે સતત પરિશ્રમ થકી કલ્ચરલ, ફાયરીંગ, પેરા જમ્પ સહિતની તમામ પ્રવૃતિઓમાં અગ્રેસર છે. એન.સી.સી એક ટીમ વર્ક છે, ટીમમાં દરેક વ્યક્તિના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા જ આખી ટીમ વિજેતા બનતી હોય છે, તેમ જણાવીને બ્રીગેડીયર તિવારીએ તમામ કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એન.સી.સી. ગ્રુપ, રાજકોટના પરિણાામની ઘોષણા ગાંધીનગર ખાતે ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ બ્રિગેડિયર એસ એન તિવારી દ્વારા કરવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે યોજાયેલ સમારોહમાં કુલ 79 ANOs, PI સ્ટાફ અને કેડેટ્સે ગત વર્ષમાં સતત મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેઓનું મુખ્ય મહેમાન બ્રિગેડીયર એસ.એન.તિવારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં એન.સી.સી.ના અધિકારીઓ, કેડેટસ વગેરે ઉપસ્થિત રહયા હતા.