ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે કારણ કે આજે બુધવારે જુલાઇ બાદ પ્રથમવાર 600થી ઓછા નવા કોરોના દેસ નોંધાયા છે. જો કે મૃત્યુદર હજી પણ ઉંચો હોવાથી ચિંતા યથાવત્ છે. આ સાથે રાજ્યમાં હાલ કોરોના વાયરસના એક્ટવિ કેસોની સતત સંખ્યા ઘટીને 7300ની નીચે જતી રહી છે. ગુજરાતમાં આજે 13મી જાન્યુઆરીના રોજ 583 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,53,744 પહોંચી
ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 2, પંચમહારમાં 1 અને સુરતમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4354 લોકોને ભરખી ગયો છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 792 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,42,164 પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 95.44 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટતા એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે ઘટીને 7,226 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 56 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,77,229 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,77,116ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 113 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.