ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અને પાસનીચાર માગણીઓ અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં કહ્યું છે કે, ગુજરાત સરકાર જયારે કહેશે ત્યારે તમામ દસ્તાવેજો સાથે અમારા 11 સભ્યોની ટીમ સાથે એક વ્યક્તિને મોકલીશું. કઈ રીતે પાટીદાર સમાજ ને અનામત મળે તેની ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. હાર્દિકે તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે, આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સમાં જે ચર્ચા કરવામાં આવી તે ચર્ચાને લઇને હું એટલું ચોક્કસ કહીશ કે જો સરકાર સમાજના હીતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હોય તો અમે ખુશ છીએ. હાર્દિકે ઉમેર્યું છે કે માનનીય નિતીનભાઇ તરફથી વારંવાર એવુ કહેવામાં આવ્યું કે તમામ મુદ્દાઓ વિચારણા હેઠળ છે. પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા દોઢ વર્ષથી અનામત આંદોલન દરમ્યાન આપના તરફથી હજુ સુધી આ મુદ્દાઓની વિચારણા નથી થઈ. હાર્દિકે નીતિન પટેલને નિશાન બનાવીને સીધો સવાલ કર્યો છે કે આપના તરફથી કહેવામાં આવ્યું કે અનામત મુદ્દે પાટીદાર સમાજ તરફથી ફોર્મ્યુલા આપવામાં આવે તો શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો ?