માવઠાનો માર: અરવલ્લીના મોડાસા પંથકમાં 70 વીઘાના તરબૂચ પર ‘કરા’ પડતા નુકસાન, મોંમા આવેલ કોળિયો છીનવાયો

0
11

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શુક્રવાર મોડી રાત્રે માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે. શુક્રવાર મોડી સાંજે અને ત્યારબાદ મોડી રાત્રે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં માવઠું થયું હતું, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી અને ઉભા પાકને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બાગાયતી પાકમા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મોડાસા તાલુકાના વણિયાદ – કોકાપુર, મોરા, દધાલિયા, વરથુ, ઉમેદપુર, નેહરૂકંપા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોને આર્થિક માર માર્યો છે.

મોડાસા તાલુકાના વણિયાદ પંથકમાં અંદાજે 70 થી 100 વીઘામાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું, પણ ખેડૂતોને ખ્યાલ નહોતો કે, માવઠુ તરબૂચ પર પાણી ફેરવી દેશે. મણિલાલ પટેલ નામના ખેડૂતે તેમના અંદાજે 10 વીઘા ખેતરમાં તરબૂચનું વાવેતર કર્યું હતું, વેપારી સાથે રૂપિયા વેચાણ માટે પણ વાત થઈ ગઈ હતી, જોકે શુક્રવારે માવઠાને કારણે તેમના 80 થી 90 ટકા જેટલા તરબૂચ પર માવઠાનું પાણી ફરી મળ્યું એટલું જ નહીં કોઈ તરબૂચ પર જાણે પથ્થરમારો કર્યો હોય તેવી હાલત તરબૂચની જોવા મળી હતી.

ખેડૂતોનું કહેવું છે કે, આ પહેલા તેમણે આ પ્રકારે કોઈ જ વાર કરા પડતા જોયા નથી તેવા કરા તેમના વિસ્તારમાં પડ્યા હતા, જેને લઇને તરબૂચના બે ટૂકળા પણ થઈ ગયા હતા. કરા પડવાને કારણે તરબૂચ જમીનમાંથી નિકળી ગયા તો કેટલાક તરબૂચ તો અત્યારથી જ કાળા પડી ગયા છે. ખેડૂતોને થયેલા મોટાપાયે નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.