અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીના માધ્યમથી અને એનડીડીબી(નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) ના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટનું ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં સહકારી દૂધ સંઘો પોતાના સભાસદોને વ્યક્તિગત બાયો ગેસ પ્લાન્ટ બનાવવા માટે લાભાર્થી દીઠ સહાય આપવામાં આવે છે. મોડાસા અને માલપુરના ખેડૂત અને પશુપાલક રાંધણગેસનો ઉપયોગ કરીને તેમના જીવન ધોરણમાં વધારો કરી રહ્યા છે. તેમનું કેહવું છે ગોબરગેસના ઉપયોગથી લાકડા એકત્રિત કરવાની મજૂરી, તેમનો ચોમાસામાં સંગ્રહ, ધુમાડો વગેરે તકલીફો દૂર થાય છે અને પ્રદૂષણ અટકે છે. આપણાં દેશમાં અંદાજે પાંચ લાખ કરતાં વધુ ગોબરગેસ પ્લાન્ટ વપરાશમાં છે.
ગોબર ગેસ પ્લાન્ટ શુ છે..???
પ્રાણીઓનાં મળમૂત્ર એકઠાં કરી પ્રાણવાયુની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેમાં આથો આવતા ગુણવતા ધરાવતો મીથેન વાયુ લગભગ ૬૦% જેટલો બને છે અને ૪૦% જેટલો નિષ્ક્રિય કાર્બન ડાયોકસાઈડ વાયુ બને છે. થોડા ઘણા અંશે નાઈટ્રોજન, સલ્ફાઈડ જેવા વાયુઓનો પણ ગોબરગેસમાં સમાવેશ થાય છે. પશુઓનું છાણ ગોબરગેસના ઉત્પાદન માટે આદર્શ કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે માનવ મળમૂત્ર, ડુકકરનું છાણ અને મરઘાં ઉછેર કેન્દ્રમાંથી મળતા ચરક ઈત્યાદિ પૂરક વસ્તુઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય કચરો, જળકુંભી, મકાઈના સાંઠા, કેળનાં પાન, જંગલી ઘાસ, ખેત કચરો અને પાણીમાં થતી લીલ, શેવાળ વગેરે પણ ગોબરગેસ ઉત્પાદનના કાચા માલ તરીકે ઉપયોગી છે. પશુઓનું છાણ, જળકુંભી અને લીલનું સપ્રમાણ મિશ્રણ ૭૦% જેટલો મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. એક એકર જળકુંભી પ્રતિદિન ૧૧૦૦ ઘનફૂટ અથવા ૩૦ ઘનમીટર જેટલો ગેસ ઉત્પન્ન કરે છે. જે એક સાફ અને સસ્તો બળતણ ગેસ છે. આમાં છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતા નથી, બલ્કે વધે છે. આમ છાણ અને ખાતર બન્ને હેતુ પાર પડે છે.
ગોબર ગેસની પધ્ધતિ શુ છે..??
સૈા પ્રથમ છાણ (ગોબર) અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે અને તે મિશ્રણ કે જેને રબડી (સ્લરી) કહેવામાં આવે છે તેને પૂરક કૂંડી મારફત પાચન કૂવામાં દાખલ કરવામાં આવે છે. પાચન કૂવમાં હવા (ઓકસીજન) ન હોવાથી રબડીનું આથવણ થાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. પાચન થયેલ રબડી પાઈપ લાઈન દ્રારા તેમજ નિકાલ કૂંડી દ્રારા પાચન કૂવામાંથી બહાર નીકળે છે. ગોબરગેસને ટાંકીમાંથી ગેસ પાઈપ લાઈન દ્રારા સૂચિત ઉપયોગ માટે રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે.
ગોબરગેસ પ્લાન્ટને આનુષંગિક બીજી સગવડો
કોઈપણ પ્રકારના ગોબરગેસ પ્લાન્ટ ગોઠવવામાં આવ્યો હોય તો પણ વપરાશના સ્થળે યોગ્ય ગોબરગેસના વહન માટે જરૂરી પાઈપલાઈન બિછાવવી પડે છે અને તેને અનુરૂપ યોગ્ય પ્રકારના બર્નર પણ મૂકવા પડે છે. જેથી ગોબરગેસ દ્રારા મહત્તમ ગરમી મળી શકે છે. તે જ પ્રમાણે વપરાયેલ ડાયજેસ્ટ/બહાર કાઢેલી સ્લરીના યોગ્ય ઉપયોગ માટે તે ભેગી કરવા બે કે તેથી વધુ ખોદવાની વ્યવસ્થા કરવાની રહે છે. ગોબરગેસ પ્લાન્ટની કામગીરી અને જાળવણી ગોબરગેસ પ્લાન્ટ ગોઠવાઈ જાય અને વપરાશમાં લેવાનું શરૂ થાય ત્યારે ડાયજેસ્ટમાં સૈા પ્રથમ છાણની સ્લરી એટલે કે છાણને પાણીમાં ભેળવી ભરી દેવી જોઈએ.
અરવલ્લી જિલ્લામાં બે તાલુકાઓમાં ગોબરગેસ પ્લાન્ટ થકી પરિવારોના જીવનધોરણમા સુધારો થયો.