વિધાનસભામાં હારના કારણો શોધીને રીપોર્ટ કોંગ્રેસે કર્યો તૈયાર, લોકસભાની ચૂંટણી પહેલા કરશે ડેમેજ કંટ્રોલ

0
27

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર મેળવી છે. 27 વર્ષથી હાર ભારી ગયેલી કોંગ્રેસે આ વખતે ઐતિહાસિક હાર મેળવી છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે અને ખડગે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા યોગ્ય કારણ શોધવા માટે કમિટીની રચના કરી હતી. ત્યારે આ કમિટીએ રીપોર્ટ તૈયાર કરી દીધો છે.

ત્રણ સભ્યોની કમિટીએ ગુજરાતના તમામ ભાગોની મુલાકાત લીધી હતી અને તમામ ઝોનની મુલાકાત લીધા બાદ કમિટીએ વ્યાપક અહેવાલ તૈયાર કર્યો છે. ત્યારે લોકસભા પહેલા ક્યાં ત્રૂટીઓ રહી ગઈ, કયા કારણોથી આટલી મોટી હારનો સામનો કરવો પડ્યો એ તમામ બાબતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે. 
 
સીલબંધ કવરમાં કોંગ્રેસ મોવડી મંડળને સોંપશે રીપોર્ટ 
ગુજરાતમાં હારના કારણો શોધવા માટે રચાયેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. ત્રણ સભ્યોની કમિટી પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કરશે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તાથી બહાર કોંગ્રેસે વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નીતિન રાઉતના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. આ ટીમે નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને લોકો સાથે વાતચીત કરીને મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે. હારના કારણો શોધવાની સાથે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ ઉકેલ પણ સૂચવ્યો છે.

આ સૌથી મોટું કારણ હોવાનું આવ્યું સામે 
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રિપોર્ટમાં તાલમેલનો અભાવ હારનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે વધુ સારા સંકલનના અભાવને કારણે, કોંગ્રેસ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી અને પક્ષ 77થી સીધા 17 પર આવી ગયો હતો. જેના કારણે તેમને વિપક્ષના નેતાનું પદ ગુમાવવું પડ્યું હતું. કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય નેતૃત્વ વચ્ચે સંકલનના અભાવને કારણે ખરાબ રીતે અસર થઈ હતી.