ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આજે વિધાનસભામાં પોરબંદર-અમદાવાદ ફ્લાઈટ બંધ હોવાનો પ્રશ્ન સરકારને કર્યો હતો. જેના જવાબમાં સરકારે પોરબંદર-અમદાવાદ ફ્લાઈટ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપી છે, તેમજ અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર-મુંબઈ અને પોરબંદર-દિલ્હી ફ્લાઈટ શરૂ કરવા માંગ કરી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં રાજ્યના સૌથી જુના એરપોર્ટ પૈકીનું એક એરપોર્ટ ધરાવે છે, જ્યાં વર્ષ ૧૯૬૨થી પોરબંદરને મુંબઈ સાથે જોડતી ફ્લાઈટ ચાલતી હતી. ત્યાર બાદ તબક્કાવાર પોરબંદર-અમદાવાદ અને પોરબંદર-દિલ્હીની ફ્લાઈટ સેવા પણ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા છ મહિનાથી પોરબંદર એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેટીંગ બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે પોરબંદરના વેપારીઓ સહિતના વર્ગને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ સમય પણ વેડફાય છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પોરબંદર એરપોર્ટ કાર્યરત હોવા છતાં એકપણ ફ્લાઈટ ઓપરેટ થતી નથી. આ અંગે મેં વારંવાર વિવિધ સ્તરે રજુઆત કરી છે અને આજે વિધાનસભામાં આ વાત સરકાર સમક્ષ રજુ કરી હતી. ત્યારે સરકારે મને ખાતરી આપી છે કે પોરબંદર-અમદાવાદ ફ્લાઈટ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મેં આ ઉપરાંત પોરબંદર-મુંબઈ અને પોરબંદર-દિલ્હી ફ્લાઈટ શરૂ કરવા પણ માંગ કરી છે. જે અંગ સરકારે વિચારણાની વાત
કરી છે.