બુધવારે સવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અંકારાથી 186 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 6.28 કલાકે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.
હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 4:08 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ડુજસેથી લગભગ 14 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. ભૂકંપની અસર તુર્કીના ઉત્તર-પશ્ચિમ દુજસે પ્રાંતમાં થઈ હતી. ઈસ્તાંબુલ અને અંકારા શહેરમાં આંચકા અનુભવાયા હતા.
તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈસ્તાંબુલમાં લોકોએ ભૂકંપ પછી તરત જ પાવર કટની જાણ કરી હતી. અગાઉ, તુર્કીએ ડુજસે પ્રાંતમાં 1999ના ભૂકંપની 23મી વર્ષગાંઠ પર રાષ્ટ્રવ્યાપી ભૂકંપની કવાયત યોજી હતી. આના બરાબર 10 દિવસ પછી ભૂકંપ આવ્યો. 1999ના ભૂકંપમાં 710 લોકોના મોત થયા હતા.
ઈન્ડોનેશિયામાં મૃત્યુઆંક 268 પર પહોંચ્યો છે.
આ પહેલા ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 268 પર પહોંચી ગયો છે. લગભગ 1000 લોકો ઘાયલ પણ થયા છે. બચાવકર્મીઓ શ્રેણીબદ્ધ આફ્ટરશોક્સ વચ્ચે કાટમાળ નીચે ફસાયેલા બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. 5.6-તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર રાજધાની જકાર્તાથી લગભગ 75 કિમી (45 માઇલ) દક્ષિણપૂર્વમાં પર્વતીય પશ્ચિમ જાવામાં સિઆનજુર શહેરની નજીક હતું. 13,000 થી વધુ લોકોના ઘરોને ભારે નુકસાન થયું છે.