અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ કેસના 4 આરોપીઓમાંથી 3 આરોપીઓ પોલીસ રીમાન્ડ પર છે, ત્યારે DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે તપાસ કરવા સિનિયર અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે.
રવિવારે અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySp અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી. તેમજ અપમૃત્યુ કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે.
પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાની સાથે CID ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. તેમાં વડલાના ઝાડથી મૃતદેહની જગ્યા સુધી ઊંચાઈ માપવામાં આવી હતી. તેમજ આજુબાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. આ ઉપરાંત ઘટના સ્થળની મુલાકાત પછી CID ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા CID ક્રાઇમે તપાસ તેજ કરી દીધી છે.