અમદાવાદ તા.8 : નોટબંધી પછી કાળુ નાણું પકડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અનેક જગ્યાએ દરોડા અને તપાસ હાથ ધરી છે. અનેક નાગરિકોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ ફટકારી છે. સોમવારે તો ભારત સરકારે કોઈપણ પ્રકારના પુરાવા વિના દરોડા પાડવા માટે ઇન્કમટેક્સ એક્ટમાં ફેરફાર કરવાનું પણ સૂચન કર્યું હતું. જો આમ થશે તો માત્ર અફવાઓને આધારે પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ પણ નાગરિક પર રેડ પાડી શકશે. પ્રામાણિક કરદાતાઓ પણ આવકવેરા ખાતાથી ફફડવા માંડ્યા છે ત્યારે તમે એ જાણીને ચોંકી જશો કે ઇન્કમ ડિક્લેરેશન સ્કીમમાં રૂ. 13,860 કરોડની આવક જાહેર કરનાર મહેશ શાહને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નિર્દોષ છોડી મૂકે તેવી સંભાવના છે. મહેશ શાહ વિરૂધ્ધ કોઈપણ પગલા નહિ ભરવામાં આવે.ઇન્કમટેક્સ ખાતાએ અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહેશ શાહ સામેનો કેસ લગભગ ક્લોઝ જેવો જ છે. મહેશ શાહ હવે મુક્ત છે.
તેની સામે કોઈપણ પગલા ભરવામાં નહિ આવે.22મી ડિસેમ્બરના રોજ પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર બી.ડી ગુપ્તાએ મિડીયાને જણાવ્યું હતું કે, “તે IPCની કલમ અંતર્ગત ખોટું ડિક્લેરેશન ફાઈલ કરવા બદલ કેસ ફાઈલ કરશે.” મહેશ શાહને છોડી દેવાતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આશ્ચર્યમાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, શાહની ધરપકડ કર્યા વિના પણ આ કેસમાં તપાસ હાથ ધરી શકાઈ હોત. અધિકારીઓના જણાવ્યા મુજબ, “નાર્કો એનાલિસિસ, લાઈ ડિટેક્ટર જેવી પધ્ધતિઓના આધારે સચ્ચાઈ જાણી શકાય છે.
દેશ માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શાહે કેમ ખોટી આવક જાહેર કરી અને આ પાછળ કોનો હાથ છે.”ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું કે શરૂઆતથી એ વાત તો સ્પષ્ટ જ હતી કે કાયદામાં કોઈ એવી કલમ જ નથી જે અંતર્ગત શાહ સામે કેસ દર્જ કરી શકાય. પરંતુ મિડીયાએ ઑફિસરો પર દબાણ ઊભું કરતા તેમણે IPC અંતર્ગત પગલા લેવાશે તેવું જાહેર કરી દીધું હતું. આવા કેસમાં બહુ બહુ તો ફોર્મ રદ કરી દેવાય છે, તેથી વિશેષ કોઈ પગલા ભરી શકાતા નથી.શાહે તેનો 1560 કરોડનો ટેક્સનો હફ્તો નહતો ભર્યો એટલે નવેમ્બર 28ના રોજ જ તેનું ફોર્મ કેન્સલ કરી દેવાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ શાહે ખોટો દાવો કર્યો હોય કે રૂ. 13,860 કરોડ તેના પોતાના છે તો પણ આવકવેરા ધારામાં એવી કોઈ કલમ જ નથી જેનાથી તેની સામે કોઈ કેસ ફાઈલ કરી શકાય.આ કેસમાં મહેશ શાહનો સી.એ તહેમુલ શેઠના પણ ઇન્કમટેક્સના સકંજામાં આવ્યો હતો. લેટેસ્ટ ડેવલપમેન્ટ અંગે તહેમૂલ શેઠનાએ જણાવ્યું હતું, “આ સાંભળીને મને બિલકુલ નવાઈ નથી લાગી.
મને ખબર જ હતી કે ઇન્કમટેક્સ એક્ટમાં એવી કોઈ કલમ જ નથી જે અંતર્ગત મહેશ શાહને સજા થઈ શકે. પરંતુ આવકવેરા ખાતાએ પ્રેસ કોન્ફરન્સમાં મહેશ શાહ વિરૂધ્ધ પગલા ભરવાની ઘોષણા કરી હતી એટલે મેં આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી.”વરિષ્ઠ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેમને ખબર જ હતી કે આ મામલાને વહેલા કે મોડા દાબી દેવામાં આવશે. તેમણે કહ્યું, “જે લોકો આમાં સંકળાયેલા છે તેઓ વગદાર છે અને ભાજપ સાથે તેમના તાર જોડાયેલા છે. ઇન્કમટેક્સે આ દરેકને ટ્રેક કરીને તેમની વિરૂધ્ધ પગલા ભરવા જોઈએ. અમારી પાર્ટીએ આ મામલામાં તપાસ હાથ ધરવાની માંગ કરી છે પરંતુ ભાજપે આ અંગે આંખ આડા કાન કરી દીધા છે.” ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હાથ ઊંચા કરી દેતા આ મામલે બધુ ભીનુ સંકેલાઈ જાય તેવી શક્યતા છે.