અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના મુદ્દે ગુલાબ ટાવર અને ચિન્મય ક્રિસ્ટલ ટાવરમાં ત્રાટકયા હતા. આ બંને ટાવરમાં ફાયર સેફટીની એનઓસીના મામલે તંત્રે કુલ ૩૪ યુનિટને સીલ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
થલતેજ વોર્ડમાં આવેલા સતાધાર ક્રોસ રોડ પાસે આવેલા ગુલાબ ટાવરમાં એસ્ટેટ વિભાગની ટીમે આજે સવારે ફાયર સેફટી એનઓસીના મામલે સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. ગુલાબ ટાવરમાં કુલ ૩૧ કોમર્શિયલ યુનિટને તંત્રનાં લોખંડી તાળાં મારી દેવાયા હતા.
આ ઉપરાંત કોર્પોરેશને બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા ચિન્મય ક્રિસ્ટલ ટાવરમાં ત્રાટકીને કુલ ત્રણ કોમર્શિયલ યુનિટને સીલ માર્યું હતું. દરમિયાન નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના ઈન્ચાર્જ અધિકારી ચૈતન્ય શાહ કહે છે આ બંને હાઈરાઈઝ બિલ્ડિંગને દિવાળી અગાઉ ફાયર સેફટીના સંદર્ભમાં નોટિસ ફટકારાઈ હતી. જેની અવગણના કરાતાં આજે સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે. હવે આવતા મંગળવારે સીલીંગનો નવો રાઉન્ડ હાથ ધરાશે.