શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ-પૌંઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાાનનો અનોખો સંગમ. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન બંધ રહ્યું હોવાથી દૂધ-પૌંઆના વેચાણ પર પણ અસર જોવા મળી છે. દર વર્ષે અમદાવાદમાં 7થી 8 હજાર કિલો દૂધ-પૌંઆનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે માત્ર 4થી 5 હજાર કિલો દૂધ-પૌંઆનું વેચાણ થયું હતું. શહેરમાં દૂધ-પૌંઆનું સામાન્ય દિવસોમાં 7થી 8 હજાર કિલો વેચાણ થતું હોય છે પરંતુ કોરોનાને કારણે દૂધ-પૌંઆના વેચાણ પર અસર થઇ છે. આમ જોવા જઇએ તો શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌંઆ ખાવાનું વૈજ્ઞાનિક કારણ છે. પરંતુ દૂધ-પૌંઆ ઠંડા હોવાથી કેટલાક લોકોએ તેનાથી દૂર રહેવાનું વધારે પસંદ કર્યું છે.
જ્યારે વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, શહેરીજનો દૂધ-પૌંઆ વગર શરદપૂનમની ઉજવણી નથી કરતા. આ વર્ષે દૂધ-પૌંઆ ના ભાવમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો તેમ છતાં તેના વેચાણમાં ઘટાડો થયો છે. દૂધ-પૌંઆ માટે જાણીતા વિપુલ દૂધિયાના માલિક મિનેષ મોદીએ જણાવ્યું હતું કે, દર વર્ષે શરદ પૂનમના દિવસે અમારા આઉટલેટ પરથી અંદાજે 7થી 8 હજાર કિલો જેટલા દૂધ-પૌંઆનું વેચાણ થતું હોય છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે અમારે ત્યાંથી અંદાજે 4થી 5 હજાર કિલોનું જ વેચાણ થયું છે. આ વખતે ગરબા બંધ હોવાથી બલ્ક ઓર્ડર એટલે કે મોટા ઓર્ડર નથી મળ્યા પરંતુ સોસાયટી પોતાના સભ્યદીઠ ઓર્ડર આપે છે. જેના માટે અમે 500 ગ્રામ અને 1 કિલોના કન્ટેનર બનાવ્યા હતા