મંગળવારે લીંબડી અમદાવાદ હાઇવે લોહીથી લથબથ થઇ ગયો હતો. કાનપરા પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ડમ્પરની પાછળ પેસેન્જર વાહન ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ આણંદના ધર્મજ તારાપુર હાઈવે પર લકઝરી બસ પલટી જતાં 25થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ 1 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય અકસ્માત મુજબ આણંદના ધર્મજ તારાપુર હાઈવે પર લકઝરી બસ પલટી મારી ગઈ હતી. લકઝરી બસ હાઈવે પરના સાઈન બોર્ડ સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી.
ત્રણ મુસાફરોની હાલત નાજુક છે
આ સમયે લક્ઝરી બસમાં 25થી વધુ મુસાફરો હતા, જેમને ઈજા થઈ હતી. તેમજ અકસ્માતમાં ઘાયલ ત્રણ મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લકઝરી બસ સુરત કતારગામથી પાલિતાણા જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના રહેવાસીઓ હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. કુલ આઠ એમ્બ્યુલન્સ ઘાયલોને તારાપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. અકસ્માત બાદ પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.