હજી તો મહિલા psi સ્વેતા જાડેજા તોડકાંડની સ્યાહી સુકાઈ નથી ને અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં pi રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહ ઉપર દુષ્કર્મ કેસમાં આરોપી બિલ્ડર સુનિલ ભંડારીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સૂત્રો થી મળી રહેલી માહિતી મુજબ દુષ્કર્મ ના આરોપીએ અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિત અરજી કરીને જણાવ્યું છે કે, મારા ઉપર દુષ્કર્મની ખોટી ફરીયાદ કરવામાં આવી છે અને આ સ્કેન્ડલમાં ખુદ કૃષ્ણનગરના પી.આઈ. જે.કે. રાઠોડ, વહીવટદાર કૃપાલસિંહ દુષ્કર્મની ફરીયાદ કરનાર મહિલા અને તેનો પતિ ભેગા મળી સમગ્ર ષડયંત્ર રચ્યો છે. એટલુજ નહી પણ મને દુષ્કર્મના કેસમાંથી બચાવી લેવા કૃષ્ણનગર પી.આઈ. જે.કે.રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહે આરોપીને ધમકાવી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમા પોલીસે આરોપીને કહયું હતું કે અમારે સી.પી.સાહેબ, અને ડી.સી.પી. ને પણ વ્યવહાર કરવો પડશે. આખરે પી.આઈ. અને વહીવટદારની ધમકીઓ થી ગભરાઈ જઈ આરોપી બિલ્ડર સુનિલ ભંડારી 70 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો હતો.
પી.આઈ.જે.કે.રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહે નક્કી કરેલા 70 લાખ રૂપિયા આરોપી પાસે થી માંગતા આરોપી સુનિલ ભંડારીએ 45 લાખ આપ્યા હતા અને બાકીના 25 લાખ પડાવવા પી.આઈ જે.કે.રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહે પોતાના મળતિયાઓ પાસે થી ફોન કરાવી આરોપીને હેરાનગતિ આપી હતી. જેનાથી પરેશાન થઈ આરોપી બિલ્ડર સુનિલ ભંડારીએ અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી પોસ્ટ કરી હતી.
અરજીમાં આરોપીએ ગંભીર આરોપ લગાડતા કહયું હતું કે મારી પત્ની ભૂમિકાબેન ભંડારીએ જમીનકાંડની ફરીયાદ નોંધાવતા ફરીયાદમાં આરોપી તરીકે દુષ્કર્મની ફરીયાદી મહિલા સુનિતા (નામ બદલેલ છે )ના પતિનું નામ હતું, પોલીસે ભૂમિકાબેનની ફરીયાદના આધારે સુનિતાના પતિની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેજ દિવસે સુનિતાએ બિલ્ડર સુનિલ ભંડારી ઉપર છેડતીની ફરીયાદ દાખલ કરી હતી.
સુનીતાએ કરેલી બિલ્ડર વિરૃદ્ધ છેડતીની ફરીયાદ બાદ કૃષ્ણનગરના પી.આઈ. જે.કે.રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહ દ્વારા બિલ્ડર સુનિલ ભંડારીને દુષ્કર્મના કેસમાંથી બચાવી લેવા તોડબાજી શરુ કરી હતી અને એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમા આરોપી 70 લાખ આપવા મજબુર બન્યો હતો, જેમાંથી 45 લાખ રૂપિયા ગત 20 જુલાઈના રોજ ડી માર્ટની ગલીમાં પી.આઈ. રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહે આરોપી પાસેથી પડાવી લીધા હોવાનું ગંભીર આક્ષેપ અરજીમાં કરાયું છે? બાકીના 25 લાખ રૂપિયા પડાવવા આરોપીને પી.આઈ.રાઠોડ અને કૃપાલસિંહના મળતિયાઓ દ્વારા હેરાનગતિ આપવામાં આવતા આરોપી બિલ્ડર સુનિલ ભંડારીએ આખરે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી પી.આઈ.રાઠોડ, વહીવટદાર કૃપાલસિંહ અને દુષ્કર્મની ફરીયાદી મહિલા સુનિતા થતા તેના પતિ વિરૃદ્ધ બિલ્ડર પાસેથી જમીન પચાવી પાડવા અને 45 લાખ રૂપિયા પડાવી લીધાના ગંભીર આક્ષેપ કર્યા છે.
બીજીતરફ સેક્ટર 2 ગૌતમ પરમારે સમગ્ર ઘટના વિશે ગંભીરતા દાખવતા જણાવ્યું હતું કે આરોપી સુનિલ ભંડારીએ કૃષ્ણનગર પી.આઈ.રાઠોડ વહીવટદાર કૃપાલસિંહ સહિતના લોકો સામે કમિશનરને અરજી કર્યાનું મારા ધ્યાનમાં આવ્યું છે, જોકે અરજી હજુ સુધી મારી પાસે આવી નથી.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. સ્વેતા જાડેજા એ પણ દુષ્કર્મના આરોપી પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો એજ મોડ્સ ઓપરેન્ડીથી કૃષ્ણનગરના પી.આઈ. રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહ તોડબાજી પ્રકરણમાં સંડોવાયા હોવાની અરજી અમદાવાદ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આરોપી એક બિલ્ડર છે અને અરજીમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અમારી જમીન અને પૈસા પડાવવાના કારસારૂપે આરોપીઓ સાથે પી.આઈ. રાઠોડ અને વહીવટદાર કૃપાલસિંહની મીલીભગત છે જેથી તમામ આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે અમદાવાદ જી ડીવીઝનનાં એસીપી એ.એમ. દેસાઈ ને તપાસ સોપવામાં આવી છે.
આ પી.આઈ.જે.કે. રાઠોડ અગાઉ પણ જ્યારે પી.એસ.આઈ. ની પોસ્ટ ઉપર ગાંધીનગર સેક્ટર 7 ખાતે ફરજમાં હતા ત્યારે પણ એક આર.ટી.આઈ. એક્ટિવિસ્ટને દુષ્કર્મ ના ખોટા કેસ માં ભરાવી દેવાની ધમકી આપી હતી અને પોતાના મળતીયા પાસે થી મસ મોટા 3 લાખ રૂપિયા લઈ ને છેડતી ની ખોટી ફરિયાદ દાખલ કરી હતી જેને પગલે કોર્ટમાં અને ડીજીપી સુધી ફરિયાદો થવા છતાં પણ આ પી.એસ.આઈ. ને પી.આઈ. નું પ્રમોશન આપી ને અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માં મુકવામાં આવ્યા હતા.
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ 45 લાખ ના તોડકાંડ માં હવે કેવી તપાસ કરવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવશે.