અમદાવાદઃ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. છાસવાર સામાન્ય બાબતોમાં હત્યા જેવું મોટું સ્વરૂપ ધારણ થતું હોય છે. ત્યારે આવી એક ઘટના અમરાઈ વાડી વિસ્તારમાં બની હતી. અહીં રબારી કોલોની વિસ્તારમાં બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવકને ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનુ મૃત્યુ થયું હતુ. યુવકનાં મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસ ફરાર આરોપીઓને શોધવા લાગી હતી.
પોલીસ એક ઘટનામાં ફરિયાદ નોંધે ત્યાં જ બીજો બનાવ અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપિંગ સેન્ટર પાસે બન્યો. જેમાં જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ભેગા મળીને મનોજ વાઘેલા નામના 24 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.
જે અંગે જાણ થતા ઝોન 5 ડિસીપી અચલ ત્યાગી સહિતનાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર 13 કલાક જેટલા સમયગાળામાં અમરાઈવાડીમાં હત્યાના બે બનાવ બનતા વિસ્તારમા ચકચાર મચી ગઈ છે.
પોલીસે હાલ તો બન્ને ગુનામાં આસપાસમાં નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા તેમજ ટેકનિકલ સોર્સનાં માધ્યમથી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હકીકત એ છે કે અમરાઇવાડી વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે.