અમદાવાદઃ શહેર અને ગુજરાતમાં કોઈના કોઈ કારણસર આત્મહત્યાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વધુ એક આત્મહત્યાની દુઃખદ ઘટના બનવા પામી છે. ઘર પાસે રહેતી યુવતી સાથે મિત્રતા થયા બાદ છોકરીના પિતા યુવકને સતત ત્રાસ આપતા રહ્યા હતા. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આમ યુવતીના પિતા વિલન બનતા યુવકે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. આમ એક વૃદ્ધ પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. આ અંગે ખાડિયા પોલીસે છોકરીના પિતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના આસ્ટોડિયામાં રહેતા 56 વર્ષીય દુષ્યંત ભાઈ દેસાઈ ઘરેથી જ વેપાર ધંધો કરે છે. તેમના બે પુત્રમાંથી એક 20 વર્ષીય ધ્રુવ નામના પુત્રએ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ધ્રુવ ઘર પાસે રહેતા ગુંજન ઉર્ફે રાજુ વ્યાસ નામના વ્યક્તિની પુત્રી સાથે ચાર પાંચ વર્ષથી મિત્રતા ધરાવતો હતો.
થોડા સમય પહેલા આ બાબત ને લઈને ગુંજનએ ધ્રુવને ગડદા પાટુ અને લાકડીનો માર માર્યો હતો જોકે તે બાબતે ફરિયાદ ન કરી સમાધાન થયું હતું. વર્ષ 2019માં પણ ફરી આ જ રીતે મારામારી થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ પણ થઈ હતી. જોકે બાદમાં આરોપી ગુંજન એ આ ધ્રુવ અને અન્ય એક પિતરાઈ ભાઈ સામે છેડતી ની ફરિયાદ નોંધાવી હતી.
જોકે તે કેસમાં બને જામીન પર છૂટયા પણ બાદમાં અવારનવાર આરોપી ગુંજન આ ધ્રુવ ને ધમકીઓ આપતો અને તારું કેરિયર ખરાબ કરી નાખીશ તને ધંધે લગાડી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. અનેક વાર ગુંજને આ રીતે ધ્રુવ ને ધમકીઓ આપી હતી પણ બને પક્ષના લોકો સામસામે રહેતા હોવાથી કોઈ ફરિયાદ કરાઈ નહોતી. પણ ધ્રુવ આ બાબતોને લઈને સતત માનસિક તણાવ માં રહેતો હતો.
છેડતી બાબતે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે એક મુદત હતી ત્યારે પણ આ ગુંજને ધ્રુવ ને ધમકી આપી ખાનદાન તબાહ કરી મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે ધ્રુવ ના પિતાએ કોર્ટ પર ભરોસો રાખવાનું કહ્યું હતું. કોર્ટની મુદત ના આગલા દિવસે જ ધ્રુવ એ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે જુવાનજોધ દીકરો ગુમાવતા ધ્રુવ નો પરિવાર આઘાત માં આવી ગયો હતો.
ખાડીયા પોલીસે આ મામલે અકસ્માત મોત નો ગુનો નોંધ્યો હતો. જોકે તપાસ બાદ ધ્રુવના પિતાએ આ આરોપી ગુંજન સામે આક્ષેપ કરતા પોલીસે તપાસ કરી તેના ત્રાસથી ધ્રુવ એ આપઘાત કર્યો હોવાનું જાણી દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.