અમદાવાદના હાટકેશ્વર જોગેશ્વરી રોડ પર રખડતા ઢોરની અડફેટે એક મહિલા ઘાયલ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હરિઓમનગરમાં રહેતી 30 વર્ષીય પાર્વતી નરેશ કાલરિયા માર્ગ પરથી પસાર થઈ રહી હતી. બે બાળકોની માતા પાર્વતીબેન દુપટ્ટા ખરીદવા જતા હતા ત્યારે લવકુશ બંગલા પાસે ગાયે તેમના પર હુમલો કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટના બાદ તરત જ મહિલાને 108ની મદદથી સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ગત તા.12મી ફેબ્રુઆરીના રોજ બપોરે રેવીબેન વાઘેલા નામની 72 વર્ષીય મહિલાને ગાયે ચાંપી દીધી હતી. સિવિલ હોસ્પિટલમાં બાર દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.