અમદાવાદઃ વન્ય પ્રાણીઓનો શિકાર કરીને તેના અંગોનો વેપાર થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને પકડી છે જે વાઘના ચામડા વેચવાની ફિરાકમાં હતી. ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને પકડીને તેમની પાસે રહેલા ચાર મૃત વાઘના ચામડા જપ્ત કર્યા છે. આરોપીઓ વાઘના આ ચામડા 2.50 કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા. જોકે, પોલીસના હાથે ચડી ગયા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપીઓની 4 મૃત વાઘના ચામડા સાથે ધરપકડ કરવામા આવી છે. નૈલેશ જાની, રણછોડ પ્રજાપતિ, અલ્પેશ ધોળકિયા અને મોહન રાઠોડ નામના આ આરોપી મૃત વાઘના ચામડા 2.50 કરોડમા વેચવાની ફિરાકમા હતા. આ લોકોને કોઇ ગ્રાહક મળે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, મોહન રાઠોડ નામના આરોપીને બે વર્ષ પહેલા કર્ણાટકનો એક આરોપી વાઘનું ચામડુ વેચી ગયો હતો. જે મોટી કિમતે બજારમાં વેચવાના હતા.
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, અમદાવાદમા કેટલાક લોકો વાઘના ચામડા વેચવા ફરી રહ્યા છે. જેના આધારે 1.50 કરોડમા ક્રાઇમ બ્રાંચે ખરીદી કરવાના બહાને આરોપીને બોલાવ્યા અને દબોચી લીધા હતા.
મોહન રાઠોડની પૂછપરછમા સામે આવ્યુ કે, તે રવિવારી બજારમાં એન્ટિક વસ્તુનું વેચાણ કરે છે. તેના થકી કર્ણાટકના એક શખ્શ સાથે પરિચય થયો હતો તે ઈસમ આ ચામડુ આપી ગયો હોવાની કેફિયત આરોપી જણાવી રહ્યો છે, ત્યારે આગળની વધુ તપાસ કર્ણાટક સુધી લંબાય તો નવાઈની વાત નહી.
મૃત વાઘના ચામડા મળતાની સાથે પોલીસે FSL અને વન વિભાગના અધિકારીને જાણ કરવામા આવી હતી. જેની પ્રાથમિક તપાસમા આ ચામડુ સાચું હોવાનું સામે આવ્યુ છે. જેથી હવે વાઘનો શિકાર થયો હતો કે, પછી કુદરતી મોત બાદ ચામડુ ઉતારવામાં આવ્યુ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યું કે, પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે.