અમદાવાદ શેહરની ખાનગી સોસાયટીઓના રોડ, ગટર, બ્લોક્સ, વીજળી વગેરેના વિકાસ કામો માટે સરકારની 70-10-20ની સ્કીમમાં અત્યાર સુધીમાં અનલીમીટેડ ખર્ચની જોગવાઈ હતી. જેમાં હાલ સરકારે સુધારો કરીને ફલેટ કે સોસાયટીમાં જેટલાં કુટુંબો રહેતાં હોય તે કુટુંબ દીઠ રૂા. 25000 ગણીને જ જે તે સોસાયટીના વિકાસ કામો કરી શકાશે તેવું નક્કી કર્યું છે. જે અંગેનો પરિપત્ર હાલ મ્યુનિ.ના એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટમાં ફરી રહ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે મોટી સોસાયટી હોય અને તે તેનો 10 ટકા ફાળો ભરી દે તો ત્યાં 50 લાખ જેવી રકમ પણ વાપરી શકાતી હતી. જેના પર હવે નિયંત્રણો આવી ગયા છે. દા.ત. 50 ફલેટ કે બંગલાની સોસાયટી હોય તો ત્યાં વધુમાં વધુ 12.50 લાખનો ખર્ચ જ કરી શકાશે.ઉલ્લેખનીય છે કે 70-10-20નો હિસાબ એ રીતનો હોય છે કે વિકાસકામ પાછળ થનાર કુલ ખર્ચના 70 ટકા સરકાર આપે, 20 ટકા મ્યુનિ. આપે અને બાકીના 10 ટકા રકમ જે તે સોસાયટીએ લોકફાળા સ્વરૂપે ભરવાની હોય છે. આ સ્કીમનો લાભ આરસીસી રોડ કરવા, પાણી-ગટરની લાઇનો નાખવા, ખુલ્લી જગ્યામાં બ્લોક્સ ગોઠવવા, વીજળીના થાંભલા લગાડવાની બાબતમાં અનેક સોસાયટીઓએ લીધો છે. સરકારે આપેલી ગ્રાન્ટ ખુટી જાય એટલે સ્કીમ નવી ગ્રાન્ટ આવે ત્યાં સુધી રોકાઈ જતી હતી.હવે, સવાલ એ ઉભો થયો છે કે આ પરિપત્ર આવ્યો તે પહેલાં કોઈ સોસાયટીએ તેના ફાળાના 10 ટકા ભરીને અરજી કરી દીધી છે, તો તેમને જુના નિયમ પ્રમાણે લાભ મળશે કે નવા પરિપત્ર મુજબ નિયંત્રીત લાભ મળશે ? ભાજપના કેટલાંક કોર્પોરેટરોનું કહેવું છે કે જેમણે નાણાં ભરી દીધાં હોય તેમને જુની સ્કીમ પ્રમાણે લાભ મળવો જોઈએ, જ્યારે પરિપત્ર બાદ અરજી કરે તેને નવા નિયમ પ્રમાણે લાભ આપવો જોઈએ.આ અંગે સરકારમાંથી કોઈ સ્પષ્ટતા આવશે તેમ કોર્પોરેટરોનું માનવું છે. જોકે 70-10-20ના કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવી દેવાતી હોવાથી ઉંચા ભાવે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાની તેમજ ભ્રષ્ટાચારની પણ ઠેરઠેરથી ફરિયાદો ઉઠવા પામી છે. આરસીસીના હલકી ગુણવત્તાવાળા રોડનો મામલો તો કોર્ટ સુધી પણ અગાઉ પહોંચ્યો હતો.
Sunday, May 19