અમદાવાદમાં ભારે વરસાદને કારણે અમદાવાદમાં એક નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઈ છે. જેમાં પાંચ કામદારો દટાયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા તમામ કામદારોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાંથી પાંચ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતાં આ અકસ્માત સર્જાયો હતો. વરસાદથી બચવા કામદારોએ દિવાલનો સહારો લીધો હતો. જે બાદ ભારે વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હતી.
નોંધનીય છે કે, અમદાવાદમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો. મળતી માહિતી મુજબ એક કલાકમાં સરેરાશ એક ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વરસાદના આંકડા મુજબ છેલ્લા બે કલાકમાં (સવારે 8 થી 10) સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સરેરાશ 40 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં ચાંદખેડા અને ઉસ્માનપુરામાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. ટાગોર કંટ્રોલ અને રાણીપમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે સાયન્સ સિટીમાં 45 મીમી, ચાંદલોડિયામાં 52 મીમી વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બિરાટનગરમાં પણ 41 મીમી વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તરીય વિસ્તારોમાં મેમ્કોમાં 28 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મણિનગરમાં પણ 30 મીમી વરસાદ નોંધાયો છે.