અમદાવાદઃ રાજ્યમાં કોઈના કોઈ કારણથી આત્મહત્યાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદમાં એક દર્દભરી આત્મહત્યાની ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષીય યુવતીએ મંગેતરની સગાઈ તોડવાની ધમકીથી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દાણીલીમડાના ફેસલનગરમાં રહેતાં હસરતબહેન બશીરભાઈ ચૌહાણની 22 વર્ષીય દીકરી અતિફાની શાહઆલમના ભીલવાસ ખાતે રહેતા આસીફ હુસૈન શેખ સાથે દોઢ વર્ષ પહેલાં સગાઈ નક્કી કરવામાં આવી હતી. અતિફા અને આસિફ એકબીજાને અવારનવાર મળતાં હતાં તેમ જ તેમની વચ્ચે ફોન પર વાતચીત પણ થતી રહેતી હતી.
આ દરમિયાન ગત 4મેના રોજ હસરતબહેનની મોટી દીકરી અમરીનનું ઓપરેશન હોવાથી તેમના પતિ અને અન્ય એક દીકરીને સાથે લઈને વેરાવળ સોમનાથ ખાતે ગયા હતા. આ દરમિયાન 7 મેના રોજ બપોરે બે વાગ્યે હસરતબહેનના પતિના ફોન પર આસિફ શેખનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અતિફાએ ગળે ફાંસો ખાઈ લીધો છે તેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઇએ છીએ.
આ અંગે તેમણે પોતાના દીકરા શાકીબને ફોન કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, 7મીના રોજ બપોરે આસિફને મળીને આવ્યા બાદ અતિફા અપસેટ હતી અને રડતી હતી. આથી મેં પૂછપરછ કરતા અતિફાએ જણાવ્યું હતું કે, આસિફ શેખ મારી સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપે છે અને હેરાન પરેશાન કરે છે.
આ વખતે શાકીબે તેની બહેનને સાંત્વના આપી કહ્યું હતું કે, ‘હું નમાજ પઢીને આવું પછી આસિફ સાથે વાત કરું છું.’ આ દરમિયાન શાકી નમાજ અદા કરવા ગયો હતો અને અતિફાએ ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પટલ લઈ જવાઈ હતી. જોકે તેનાં માતાપિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આ અંગે હસરતબેન ચૌહાણે તેમની દીકરી અતિફાના મંગેતર આસિફ શેખ વિરુદ્ધ તેમની દીકરીને સગાઈ તોડી નાખવાની ધમકી આપી હેરાન કરી તેને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અતિફાના મોત બાદ તેનો ફોન ચેક કરતા અતિફાએ તેના મંગેતર આસિફની સાથે વાત કરવા માટે વીડિયો કોલ કર્યો હતો, જેમાં તે રડતી રડતી ફોન ઉપાડવાનું તેમ જ જો ફોન નહિ ઉપાડે તો મરી જઈશ તેમ કહેતી હતી. ઉપરાંત વોટ્સઅપ ચેટમાં ‘હેરાન મત કરો, ફોન ઉઠા, મેં છોડ કર જા રહી હું’ વગેરે મેસેજ આસિફને મોકલ્યા હોવાનંુ ફરિયાદમાં જણાવ્યું છે.