અમદાવાદનો હાટકેશ્વર ઓવરબ્રિજ 6 મહિનાથી વધુ સમયથી બંધ છે. આ બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ પુલ વડોદરા અને સુરત તરફ જાય છે. પરંતુ આ બ્રિજ બંધ થવાના કારણે અહીં ભારે જામ છે જેના કારણે કંટાળેલા સ્થાનિકોએ ઓવરબ્રિજ પર ચક્કાજામ કરીને અનોખો વિરોધ કર્યો હતો. પોલીસે તમામ દેખાવકારોને કસ્ટડીમાં લીધા હતા.
આ બ્રિજ બંધ થવાથી કેટલાક લોકોના ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે. સ્થાનિક આગેવાનોએ આ રીતે વિરોધ કરતાં પોલીસે તમામને કસ્ટડીમાં લીધા હતા. છેલ્લા 6 મહિનાથી છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજના સમારકામની ધીમી ગતિને કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગારને માઠી અસર થઈ રહી છે. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે વેપારીઓએ સવારથી બપોર સુધી 12 કલાક ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો.
હાટકેશ્વર વિસ્તારને જોડતો મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં તૂટી પડ્યા પછી, AMCએ રૂ. 90 લાખના ખર્ચે તેનું સમારકામ શરૂ કર્યું. પરંતુ છેલ્લા 2 મહિનાથી કામ બંધ છે. બ્રિજ સુધીનો રસ્તો તોડી નાખવામાં આવ્યો છે અને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી દરરોજ એક લાખથી વધુ લોકો પસાર થાય છે. આમ છતાં આ બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરવાને બદલે વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી.