અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસની બીજી અને ઘાતક લહેર ચાલી રહી છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા તો લોકો ઘરે બેઠા સારવાર કરાવવા માટે મજબૂર બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કટેલાક લાલચું ડોક્ટરોને મોકળું મેદના મળી જાય છે. અમદાવાદમાં એક ચેતવણરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક નકલી ડોક્ટરે પરિવારને ઘરે જઈને સારવાર કરીને દોઢ લાખ રૂપિયા ખંખેર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. તાજેતરમાં તેઓના પતિ ને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મેઘા બહેનના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જોકે તેઓના પતિની બીમારી ની કોઈને ખબર ન પડે તે માટે હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા અને ઘરે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. પાડોશમાં રહેતા એક વ્યક્તિના માતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર કરાવતા હોવાની માહિતી મળતા મેઘા બહેનને પણ આ ડોક્ટરને બોલાવવા નું વિચાર્યું હતું.
જેથી તેઓની પૂછપરછ કરી નરેન્દ્ર પંડ્યા નામના ડોક્ટર નો સંપર્ક કર્યો હતો. આ નરેન્દ્ર પંડ્યા એ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘા બહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના 10,000 રૂપિયા નક્કી કર્યા હતા હતા. બાદમાં આ નરેન્દ્ર પંડ્યા એ સારવાર શરૂ કરી હતી. નરેન્દ્ર પંડયા ની સાથે એક નર્સ કે જેનું નામ રીનાબહેન હતું તે પણ મેઘા બહેનના ઘરે આવતી હતી અને મેઘા બહેનના પતિ ને બાટલો ચઢાવી ઇન્જેક્શન તથા દવા આપતી હતી અને રોજના 10,000 રૂપિયા લઈને જતી હતી.
જ્યારે નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝીટ માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો એક વ્યક્તિ પણ આવતો હતો. સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે ચિંતા કરો નહીં તમારા પતિને સારું થઈ જશે મારા પર ભરોસો રાખો. મેઘા બહેનના પતિની આશરે પંદરેક દિવસ સુધી સારવાર ચાલી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને તબિયત વધારે બગડવા લાગી હતી.
મેઘા બહેનના અન્ય સંબંધીઓ જ્યારે તેમના પતિની તબિયત અને ખબર અંતર જાણવા આવતા હતા ત્યારે ડોક્ટર નરેન્દ્ર સાથે વાત થઈ હતી. ત્યારે આ ડોક્ટર નરેન્દ્ર મેઘા બહેન ના સગા સંબંધીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓને શક વહેમ ગયો હતો અને તેઓ કઈ હોસ્પિટલમાંથી આવે છે અને કઈ ડીગ્રી ધરાવે છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
જેથી આ ડોક્ટર પાસે કોઈ ડીગ્રી નથી પરંતુ તે ફ્રોડ છે તેવું લાગ્યું હતું. બાદમાં મેઘા બહેનના પાડોશીએ તાત્કાલીક 108 માં ફોન કરી પતિને સિવિલ હોસ્પિટલના 1200 બેડ માં લઇ જઇ દાખલ કર્યા હતા અને ડોક્ટર નરેન્દ્ર તથા તેની સાથે આવેલા ભાઈ ને બોલાવી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટર નરેન્દ્ર પંડ્યા નકલી ડોકટર હોવાનું સામે આવ્યું હતું અને તેની સાથે આવતી નર્સ રીના કે જે વટવા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સ્પર્શ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તથા નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે અન્ય એક શખ્સ કે જેનું નામ સોહિલ શેખ હોવાનું સામે આવ્યું હતું અને તે કોઈ હોસ્પિટલમાં નોકરી કરતો ન હતો. જેથી રોજના દસ હજાર લેખે 1 લાખ 50 હજાર રૂપિયા મેઘા બહેને ખર્ચ કર્યો હોવા છતાં તેમના પતિને સારવાર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતા તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.