અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આયેશા નામની યુવતીએ હસતાં મોંઢે વીડિયો બનાવ્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારબાદ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી. જોકે, આ આયેશા આપઘાત કેસમાં પોલીસે પોતાની ઝડપ બનાવીને આરોપી પતિ આરીફને રાજસ્થાનની દબોચી લીધો હતો. અને અમદાવાદ લાવી હતી.
મળતી માહિતી પ્રમાણે હાલ કોરોના ટેસ્ટસહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ખાતે લવાયા બાદ આરીફને જાણે તેની પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગણી ઉઠી છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 (આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.
સોમવારે આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, ‘આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.’ પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘા કરી લીધો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.
વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના, દીકરો આમિર, દીકરો અરમાન અને દીકરી આયેશા ઉર્ફે સોનુ હતી. આયેશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આ મામલે આયેશાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે. જે કેસ હાલ ચાલી રહ્યો છે. આરીફ આ કેસ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરતો હતો.