અમદાવાદ: કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસોમાં ધમખમ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બ્લેકફંગસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની અછતના કારણે ગઠિયાઓ કાળાબજારી કરવા માટે સક્રિય થયા છે. અનેક લોકો આવા ગઠિયાઓનો ભોગ બનતા રહે છે ત્યારે વધુ એક યુવક શિકાર બન્યો હતો. વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને આ રોગ થતા તેને ડૉક્ટરે 30 ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું. દરમીયાનમાં તેને મિતેષ ગજ્જર નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો. જેણે એક ઇન્જેક્શનની 5500 રૂ. કિંમત જણાવતા યુવકે 50 ઇન્જેક્શન માંગી 1.25 લાખ ચૂકવ્યા હતા. પણ ઇન્જેક્શન ન મળતા અને રૂપિયા ચાઉ થઈ જતા યુવક ખરાબ પરિસ્થિતિ માં મુકાયો હતો. દરમિયાનમાં આ યુવકને જાણ થઈ કે મિતેષ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેથી તેણે નરોડામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પટેલ ઓઢવ જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેઓના પિતાને વીસેક દિવસ પહેલા કોરોના થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને સારું થતાં ઘરે લાવી દીધા હતા. ત્યાર બાદ ગત 12મી મેના રોજ તેમના પિતાને મોઢાના ભાગે સોજા જેવું આવતા નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલી ગુજરાત હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ સંદીપભાઈ ના પિતા ને નાકના ભાગે ઇન્ફેક્શન થયું હોવાનું જણાવ્યું હતું અને મ્યુકરોમાઇસીસ થયો હોવાનું જણાવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં liposomal amphotericin-b ના ઇન્જેક્શન 30 દિવસ સુધી આપવા પડશે તેવું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું. જેથી સંદીપભાઈ એ આ ઇંજેક્શન ની સગવડ કરવાનું તેમના બનેવી ને કહ્યું હતું.
જેથી તેમના બનેવીએ એક નંબર મોકલી આપ્યો હતો તે નંબર ઉપર સંદીપભાઈ એ ફોન કરી વાતચીત કરતાં ફોન પર વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ મિતેશ ગજ્જર હોવાનું જણાવ્યું હતું અને એક ઇન્જેક્શનની 5500 રૂપિયા કિંમત જણાવી બે દિવસમાં મળી જશે તેવી વાત કરી હતી.
જેથી સંદીપભાઈ ને ભરોસો બેસતા તેઓએ 50 injectionની વાત કરતા 1,25,000 રૂપિયા ચૂકવવા પડશે તેવુ ફોન પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું. બાદમાં સંદીપભાઈ એ ઓનલાઇન 125000 રૂપિયા અલગ-અલગ એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર કર્યા હતા અને બે દિવસની રાહ જોવા છતાં પણ આ ઇંજેક્શન તેઓને મળ્યા ન હતા.
બાદમાં મિતેશ નામના શખ્સે ઇન્જેક્શન કુરિયર થી મંગાવ્યા છે તેઓને મળશે બાદમાં તાત્કાલિક પહોંચાડી દેશે તેવી વાત કરી હતી. પરંતુ આ ઇંજેક્શન ન મળતાં સંદીપભાઈ એ અવારનવાર ફોન કરતાં આ વ્યક્તિએ તેનો ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું સામે આવતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓને જાણ થઈ હતી કે મિતેશ ગજ્જર નામના વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડયો છે જેથી તેઓએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.