અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં દેશમાં રોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગંભીર કોરોના દર્દીઓને ઓક્સીજન અને રેમડેસિવીર ઈન્જેક્શન સંજીવની સમાન બની રહે છે. આવી સ્થિતિમાં રેમડેસિવીર ઈન્જેક્શનની માંગમાં ધરખમ વધારો થયો છે. રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધતા જ તેની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લાલચું લોકો મજબૂર પરિજનોને લૂંટી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ પણ આવા લોકો ઉપર નજર રાખીને પકડી પાડે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જેમાં અનેક લોકો ઝડપાઈ ગયા છે. જોકે હવે લાલચું લોકો સુધરી જજો કારણ કે ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર તમારા ઉપર સતત બનેલી રહેશે.
આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી એ તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આવામાં હાલ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ટીમ બનવવામાં આવી છે અને જે લોકો શહેરમાં આવા લોકોને પકડવા કાર્યવાહી કરી રહ્યા છે.
નોંધનીય વાત તો એ છે કે હાલ ક્રાઈમ બ્રાન્ચને એકજ ટાર્ગેટ છે કે માત્ર આવા ઇન્જેકશનનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવા માં આવે. ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાનું કેહવું છે કે કોઈ પણ વ્યક્તિને શંકા જાય અથવા કોઈ આરોપી ઈન્જેકશનની કાળા બજારી કરે તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.
ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા આવી કાર્યવાહી સાથો સાથ કોરોના દર્દીઓ,તેમના સગા અને કોરોના દર્દીઓ ની સારવાર કરી રહેલા તબીબોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ રહી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે શહેરની અન્ય પોલીસ પણ ફરી કામે લાગી ગઈ છે અને એક માનવતા નું કામ પૂરું પાડી રહી છે.
જોકે કોરોનાના સમયમાં જે રીતે પોલીસ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેને ધ્યાન માં લઈ રાજ્યના ગૃહ રાજય મંત્રી દ્વારા ગુજરાતના 9 પોલીસ ને સમ્માન કરવા માં આવ્યા છે અને જેમાં ક્રાઈમ બ્રાન્ચના PSI એસ.જે.દેસાઈને પણ સમ્માન કરવા માં આવ્યા છે.