અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની બસ સેવા એએમટીએસ અને બીઆરટીએસ બસોને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી છે. બસ સેવા બંધ થતાં જ રીક્ષા ચાલકોને મજા પડી ગઈ છે. રીક્ષા ચાલકો મુસાફરોની મજબૂરીનો લાભ લઈને બેફામ ભાડાં વસૂલી રહ્યા છે. રીક્ષા ચાલકો લોકો પાસેથી ભાડા માટે એડધડ લૂંટ ચલાવી રહ્યા છે.
ત્યારે ટ્રાફિક પોલીસે લોકોને સહારો મળી રહે તે માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જો રીક્ષા ચાલક વધારે ભાડું વસૂલ કરે તો ટ્રાફિક પોલીસે જાહેર કરેલા 1095 હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરવો. ટ્રાફિક પોલીસે લોકોને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરી છે.
મળતી માહિતી પ્રમાણે જે રિક્ષાચાલક કાયદેસરના ભાડાંના નિયમોનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. આવા રિક્ષાચાલકને કોઈપણ યુનિયન ટેકો નહીં આપે. નોંધનીય છે કે, રિક્ષા ભાડાંની લૂંટ ચાલતી હોવાની ફરિયાદો મળતાં શહેર ટ્રાફિક પોલીસે તા. 20ના રોજ શહેરના વિવિધ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનની સંયુક્ત મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં યુનિયનોએ સર્વસંમતિથી નિયત ભાડું લેવા તૈયારી દર્શાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ વકરતી જ જાય છે. કોરોનાના સંક્રમણને એક વર્ષ થઇ ગયું તો પણ વાયરસ જવાનું નામ નથી લેતો. જેના કારણે ગુજરાત સરકારે ઓફલાઇન શિક્ષણ, શનિ-રવિ મોલ થિયેટર બંધ કરી દીધા છે. આ સાથે બીઆરટીએસ અને એએમટીએસની સેવાઓ પણ બંધ કરી દીધી છે.