ગુજરાતમાં રખડતા પશુઓ અને કતલખાનાઓને લઈને હાઈકોર્ટે હવે વહીવટીતંત્ર સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુઓની અરજીના પગલે રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાના કેસમાં રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારને એકશન ટેકન રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે ગેરકાયદે કતલખાનાના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. આ સાથે લેવાયેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા પાયે ચાલતા કતલખાનાઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 12 કતલખાનાઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. તેમ છતાં એક આંકડા મુજબ, 354 કતલખાનાઓ ધમધમી રહ્યા છે. અરજદારે અરજીમાં દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાનાઓ સામે કાર્યવાહી કરી રહી નથી.