જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી હેમંત શાહે આજે 11 ફેબ્રુઆરી 2019માં રાજીનામું આપ્યું છે. આ સાથે રાજીનામાનો કડક પત્ર કોલેજને મોકલી આપવામાં આવ્યો છે.
જિગ્નેશ મેવાણીને અપાયેલા નિમંત્રણને કારણે વિદ્યાર્થી નેતાઓનું દબાણ આવતાં એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ આચાર્યને પાડવામાં આવી હતી.
11 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં નક્કી કરાયો હતો. કેટલાક વિદ્યાર્થી નેતાઓને જિગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહિ દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્ય અને કેટલાક અઘ્યાપકોને ધમકી આપી જણાવ્યું હતું.
આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તેમ જ જીગ્નેશ મેવાણીની આ કાર્યક્રમમાં આવવાની સંપૂર્ણ તૈયારી હોવા છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇનકાર કર્યો હતો. તેથી વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હેમંતકુમાર શાહ ઉપરાંત ઉપાચાર્ય મોહનભાઈ પરમારે પણ રાજીનામું આપ્યું છે.