અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો આતંક છે તો બીજી તરફ હવે મ્યુકોરમાઇકોસિસ રોગનો ખતરો પણ વધતો જાય છે. કોરોના બાદ થતાં મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓ ગુજરાતમાં દરરોજ વધી રહ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલ 500થી વધુ દર્દીઓ દાખલ છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં પણ 500થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 567 દર્દી દાખલ છે. વડોદરાની સિવિલમાં 30 સર્જરી અને 11 નવા કેસ છે અને ગોત્રી હૉસ્પિટલમાં 67 સાથે કુલ 185 સારવાર હેઠળ છે. આના દર્દીઓનો આંકડો ધીરે ધીરે વધી જ રહ્યો છે જે ચિંતાનું કારણ છે.
એક સમાચાર પત્રનાં જણાવ્યાં પ્રમાણે, તબીબોના મતે મ્યુકોરમાઇકોસિસના ચાર પ્રકાર હોય છે. કોઇ દર્દીને નાક, મો અને મગજમાં મ્યુકોરમાઇકોસિસ થાય છે. કોઇને આંતરડાં, ફેંફસા અને ચામડીમાં પણ મ્યુકર માઇકોસિસ થાય છે. પંરતુ આ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ ગુજરાતમાં ઓછું જોવા મળી રહ્યું છે. જે મ્યુકોરમાઇકોસિસ નાક, મો અને મગજમાં પ્રસરે તેને રાયનો સેરેબ્રલ મ્યુકોરમાઇકોસિસ કહે છે.
ગુજરાતમાં રાયનો સેરબ્રલ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ વધુ છે. આ પ્રકારના મ્યુકોરમાઇકોસિસમાં રોગ એટલી હદે વકરે છે કે,જડબાની સર્જરી કરવી પડે છે. ફેફસામાં થતાં મ્યુકોરમાઇકોસિસને પલ્મોનરી મ્યુકર માઇકોસિસ તરીકે ઓળખાય છે જેનું પ્રમાણ ખૂબ નહિવત છે. આ જ રીતે, જી.આઇ મ્યુકોરમાઇકોસિસ જે આંતરડામાં થાય છે. ચામડીમાં પણ મ્યુકર માઇકોસિસ થઇ શકે છે. આ મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા પણ ખૂબ જૂજ જોવા મળે છે. મોટાભાગે કોરોના બાદ જ દર્દી મ્યુકોરમાઇકોસિસના રોગનો શિકાર બની રહ્યો છે.
આ ઇન્જેક્શનોની ફાળવળી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યાર સુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને 20,700થી વધુ ઇન્જેક્શન એમ્ફેટેરેસીન-બી ઉપલબ્ધ કરાવી આપ્યા છે. આ ઇન્જેક્શન એમ્ફેટેરેસીન-બીનો વધુ જથ્થો રવિવારે મોડી સાંજે મળી ગયો છે. આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે