અમદાવાદઃ શહેરમાં અને રાજ્યમાં ચોરીના અનેક કિસ્સાઓ બનતા જ રહે છે પરંતુ ચોરીના ચોર શોધવા માટે ભુવાનો સહારો લીધો હોય એવો કિસ્સો ભાગ્યે જ બનતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બન્યો હતો. જ્યાં એક યુવકના મોટા બાપાના વાહનમાંથી અઢી લાખથી વધુની રકમ ચોરી થઈ હતી. યુવકે આ અંગે પોલીસ ફરિયાદ કરી જ્યારે યુવકના પરિચિત લોકોએ ભુવાને જણાવ્યું. જ્યાં ભુવાએ તે 24 કલાકમાં ચોરી બાબતે કોણ જાણે છે, ક્યાં પૈસા હશે તેવું કહી બતાવે છે. જેથી યુવક ત્યાં ગયો અને શકદાર લોકોને ભુવાએ જોઈને સીંગદાણા આપ્યા હતા. જે ખાતા એક યુવકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં યુવકે કેફી પદાર્થ ખાધો હોવાથી ઝાડા ઉલટી થઈ હોવાનું કહેતા યુવકે ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પરથી લોકોએ આવા ઢોંગી ધૂતારા પાસે ન જવું જોઈએ તેવું પોલીસ કહી રહી છે.
મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીમાં રહેતા સંજયભાઈ રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાબાપાના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી 2.65 લાખની ચોરી થઈ હતી અને તે બાબતે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી હતી. તે વખતે શકદાર તરીકે સુરેન્દ્રસિંહ ચૌહાણનું નામ લખાવ્યું હતું અને આ સુરેન્દ્રસિંહને પોલીસે પૂછપરછ કરતાં આ સુરેન્દ્રસિંહ એ પોલીસને જણાવ્યું હતું કે, ચોરીમાં ગયેલા પૈસાની જાણ તેને તથા સંતોષ તથા ગબ્બર તથા દિલીપ અને પ્રદીપને હતી. ત્યારે 31 મેના રોજ સાંજે સંજયભાઈ રિક્ષા લઈને અમરાઈવાડી પાસે આવ્યા હતા તે વખતે તેમના મોટા બાપાના દીકરા જયસિંગ તથા તેના મિત્ર પ્રદીપ પાંડે તથા મિત્ર ચિરાગ તથા ગબ્બર નામના લોકો હાજર હતા.
તે વખતે પ્રદીપે સંજયભાઈ ને જણાવ્યું હતું કે, તેના મિત્ર ટકા ભાઈએ તેને જણાવ્યું છે કે, તેના મિત્રને ચોરી થઈ હતી જેને ગોમતીપુર ખાતે એક ભૂવાજીને બતાવતા ભૂવાજીએ ૨૪ કલાકમાં ચોરીમાં ગયેલી વસ્તુ મળી ગઈ હતી.
જેથી આ લોકો રિક્ષામાં બેસી ગોમતીપુર સામે આવેલા મેલડી માતાના મંદિર ખાતે આવતા વિજય નાડિયા નામના ભુવાજી પાસે ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, તમારા પૈસા ચોરી થયા હતા. ત્યારે કોણ-કોણ હાજર હતું તે તમામને અહીં લઈને આવો. જેથી બાદમાં જે તમામ લોકોને ચોરીમાં ગયેલા પૈસાની જાણ હતી તે તમામ લોકોને ત્યાં બોલાવ્યા હતા. ત્યારે ભૂવાજીએ જણાવ્યું હતું કે, તમારામાંથી કોઈએ ચોરી કરી છે, તમારા પૈસા ૨૪ કલાકમાં મળી જશે અને તમારું કામ થઈ જાય તો ૫૧,૦૦૦ મંદિરમાં આપી દેજો. જેથી સંજય ભાઈએ જણાવ્યું હતું કે, તેઓને સંતોષ તથા એક વ્યક્તિ અને ગબ્બર ઉપર શંકા છે.
ભુવાએ પાંચ મિનિટમાં ચમત્કાર મળી જશે તેમ કહી સંજયભાઈના મોટા બાપાના દીકરા પાસેથી 10 રૂપિયા લઈને તેના માણસ પાસે કાચી સિંગ દાણા મંગાવી મંદિરના ઓટલે જઈ બેસી ગયા હતા. થોડીવારમાં સિંગ દાણા ખાવા માટે આપતા સંજયભાઈ સિંગ દાણા ખાઈ ગયા હતા. ત્યારબાદ ગબ્બરને બોલાવી સિંગદાણામાં કઈ ભેળવી ગબ્બરને ખાવા માટે આપતા અન્ય લોકોને પણ આ સિંગ દાણા ખાવા આપ્યા હતા.
બાદમાં ભુવાજીએ જણાવ્યું કે, પેટમાં બળતરા થવા લાગે તે ચોર સાથે મળેલો છે તેવુ સમજી લેવું. ત્યારે સંતોષભાઈને પેટમાં બળતરા થતા સંજયભાઈને ભુવાજીને પેટમાં બળતરા થતી હોવાનું કહેતા ભુવાએ સંતોષ ભાઈને પૂછતાં તે કઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. બાદમાં થોડા સમય બાદ સંતોષભાઈના પત્ની તેઓના ઘરે આવ્યા હતા અને જણાવ્યું કે, સંતોષની તબિયત ખૂબ જ ખરાબ થઇ છે તેને દવાખાને લઈ જવાનો છે. જેથી 108માં લઈને તેઓને શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે જણાવ્યું કે, કોઇ કેફી પદાર્થ પીધેલો હોવાથી ઝાડા ઉલ્ટીઓ થાય છે. જેથી આ મામલે સંજય ભાઈએ ભુવા વિજય નાડિયા સામે ગુનો નોંધાવતા ગોમતિપૂર પોલીસે તપાસ શરૂ કરી છે.