સરખેજ અને ચાંદલોડિયા વિસ્તારમાં બે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. શાંતિપુરા સર્કલથી સરખેજ જતા રોડ પર પેટસન પાઈપ કંપનીના બોર્ડ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ચાંદલોડિયામાં 16 દિવસ પહેલા બનેલી અન્ય એક ઘટનામાં એક્ટિવા સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન કારચાલકનું મોત થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
ગત રાત્રે તનવીર શેખ તેની લારી લઈને શાંતિપુરા સર્કલથી સરખેજ સર્કલ તરફ જઈ રહ્યો હતો. તે સમયે હાજર રહેલા અજાણ્યા વાહનના ચાલકે કાબુ ગુમાવતા તનવીર શેખને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને લારીને પણ નુકસાન થયું હતું. ઘટના બાદ આરોપી ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે એમ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતના અન્ય એક બનાવમાં પ્રભુ કૃપા સોસાયટી, ન્યુ રાણીપ, ચેનપુરમાં રહેતા ભીખાભાઈ પરમાર તેમની રિક્ષામાં મુસાફર સાથે ચાંદલોડિયા શુભ મંગલ રેસીડેન્સી પાસેથી જય અંબે કોફીબાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે સામેથી આવી રહેલા એક્ટિવા ચાલકે રિક્ષાને ટક્કર મારતા ભીખાભાઈને માથા, કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સાથે જ એક્ટિવા પર સવાર બે લોકોને પણ ઈજા થઈ હતી. ભીખાભાઈ અને એક્ટિવાના ચાલકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભીખાભાઈ પરમારને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને બાદમાં રજા આપી દેવામાં આવી હતી. જોકે, ઘરે ગયાના ત્રણ દિવસ બાદ બુધવારે સવારે ફરીથી દુખાવો ઉપડતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે મૃતક ભીખાભાઈના પુત્ર ભાવેશ પરમારની ફરિયાદના આધારે ટ્રાફિક એ ડિવિઝન પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.