અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ ઝરમર અને છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાંજે સાત વાગ્યાના અરસામાં કાળા વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો. વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો. રાત્રે લગભગ નવ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.
અમદાવાદમાં સાંજે સાતથી આઠ વાગ્યા સુધીમાં ઉસ્માનપુર અને કોતરપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બિરાટનગર, ગોતા ઓઢવ, બોડકદેવ અને મણિનગરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે રખિયાલ, નિકોલ, જોધપુર, સરખેજ, મેમ્કો, નરોડા, ચાંદલોડિયા, વટવા, સાયન્સ સિટી, પાલડી સહિતના વિવિધ વિસ્તારોમાં એક ઈંચથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. શહેરમાં આ સમયગાળા દરમિયાન સરેરાશ દોઢ ઇંચ (38 મીમી)થી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને શહેરના પૂર્વ અને ઉત્તર ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નરોડા, ઠક્કરબાપાનગર, અસરવા, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ, સરસપુર, સેટેલાઇટ, જોધપુર, નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા.
અંડરપાસ બંધ
શહેરમાં રવિવારે સાંજથી રાત્રી સુધી પડેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન મીઠાખળી અંડરપાસ, મકરબા અંડરપાસ સહિતના અનેક બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા.
વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલ્યા
રવિવારે સાંજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ વાસણા બેરેજના ગેટ નંબર 20, 21 અને 22 બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે.