દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરીવાર ગુજરાતના પ્રવાસે આવે છે, આજે રાત્રે સુરતમાં રોકાણ બાદ તેઓ 1લી તારીખે ગુજરાતનાં સ્થાપના દિને ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી અને છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના મહાસંમેલનમાં હાજરી આપશે.
વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.
આગામી વિધાનસભાની ચુંટણીને લઈને આપ પાર્ટી ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે, જેમાં રાજ્યના શહેરી વિસ્તારો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પેઠ જમાવવા માટે મહેનત કરી રહી છે, જેની તૈયારીના ભાગ રૂપે જ આપ પાર્ટીએ ગત દિવસોમાં BTP સાથે ગઠબંધન કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો.
આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં પ્રવેશી છે ત્યારથી ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં સારી સફળતા મેળવી છે, અને હવે તેનો વ્યાપ વધારવા માટે મથી રહી છે.
ગુજરાતની 15% અનામત એવી 30 ટકા બેઠકો એસટી સમાજના ઉમેદવારો માટે અનામત છે, જેના પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે, વિધાનસભાની 26 બેઠકોમાંથી 17 બેઠકો અહીંથી આવે છે, 2017 માં દક્ષિણ ગુજરાત ભાજપ માટે નફાકારક સાબિત થયું હતું, જ્યાં ભાજપે કોંગ્રેસના ચહેરાઓનો ભાજપમાં સમાવેશ કરીને પકડ મજબૂત કરી હતી, જેમાંથી હાલમાં 50% જેટલી બેઠકો ભાજપ પાસે છે, ત્યારબાદ કોંગ્રેસ પણ અહી અમુક અંશે સફળ રહી છે, તેવામાં આદિવાસી સમાજનું નેતૃત્વ કરતી BTP પાર્ટી પણ ઘણી બેઠકો પર ચુંટણી પરિણામો ફેરવી શકે છે.
આવા સમયે AAP અને BTP પાર્ટી સંયુક્ત રીતે લડશે તો ભાજપ અને કોંગ્રેસ બંનેને અનેક સીટો પર ફરક પડશે તે ચોક્કસ છે.