રાજ્યમાં આગામી 2022 ની વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો ખૂબ વધી રહ્યો છે, જેમાં ખાસ કરીને હાર્દિક પટેલ ખૂબ ચર્ચાઓમાં આવી રહ્યો છે.
આવા સમયે આજે વિરમગામ સૌ કોઈની નજરમાં ખાસ રહ્યું, ગયા વર્ષે હાર્દિક પટેલના પિતા ભરતભાઇનું મૃત્યુ થયેલું, જેના સ્મરણમાં આજે સભા યોજવામાં આવી હતી, સભામાં સૌ કોઈની નજર ત્યાં આવતા નેતાઓ પર રહી હતી.
હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ છે, તેવા સમયે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ તેમને ત્યાં હાજરી આપી હતી, ઉપરાંત PAAS ના પણ અમુક નેતાઓ હજાર રહ્યાં હતા.
ગઈકાલથી એવી અટકળો હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ પણ હાજર રહેશે, પણ અમુક સ્થાનિક નેતાઓ સિવાય ભાજપમાંથી કોઈ પણ વિરમગામ પહોંચ્યું નથી.
થોડા દિવસ પહેલા હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઈને અનેક તર્કવિતર્કો ઊભા થયેલાં, અને જો આજે ભાજપના મોટા નેતાઓ હાજર રહેત તો આ તમામ બાબતો પર ગરમાવો ખૂબ જ વધી જાય તે નક્કી હતું.
એક બાજુ હાર્દિક પટેલ કોંગ્રેસ પ્રત્યે બળવો કરતો જોવા મળે છે, સાથેસાથે પોતાને સૌથી મોટો હિંદુવાદી ગણાવી રહ્યો છે, ભાજપના વખાણ પણ કરી ચૂક્યો છે… જ્યારે સામે પક્ષે ભાજપના એમ પણ નેતાઓએ હાર્દિક પટેલના આ વર્તનને કારણે ઉત્સાહી થયા નથી.. તો શું માની શકાય કે ભાજપ હાર્દિક પટેલને ભાવ નથી આપી રહી.
પાટીદાર આંદોલન બાદ 2017ની ચુંટણીમાં હાર્દિકની અપીલથી અનેક સીટો પર અસર થઈ હતી, અને અત્યારે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ઊભી ન થઈ શકે તેવી પરિસ્થિતિ બને, કારણકે રાજ્યમાં આજે પણ ઓછામાં ઓછા 5 થી 10 ધારાસભ્યો છે જે હાર્દિક પટેલના ખૂબ અંગત માની શકાય, અને હાર્દિક પટેલ જે બાજુ જુએ તે બાજુ તેઓ પણ મીટ માંડે.
એક બીજી એ વાત રસપ્રદ છે કે આજના કાર્યક્રમમાં હાજર રહેલ નૌતમ સ્વામીએ પ્રેસ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલને હિંદુવાદી પાર્ટીમાં શામેલ થાય તેવું નિવેદન આપી દીધું છે.
આ તમામ બાબતો જોતા હાર્દિક પટેલ ભાજપમાં ભળવા માગે છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું, જ્યારે સામા પક્ષે ભાજપે ચુંટણીલક્ષી તમામ તૈયારીઓ કરી લીધી છે, એક પછી એક પાર્ટી કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે, ભાજપ સત્તા ઉપર છે, સંગઠનમાં પણ ભાજપની તોલે કોઈ પણ પાર્ટી આવી શકે તેમ નથી, અને એટલે જ ભાજપ કોઈપણની આશા વિના સંગઠનના આત્મબળથી ચુંટણી લડવા માગતી હોય તેવું દેખાય છે.
આવા સમયે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય કે ન જોડાય ભાજપને કોઈ ફેર પડતો હોય તેવું દેખાઈ આવ્યું નથી… અને એટલે જ હાર્દિક પટેલ પોતાની ઈચ્છા પ્રમાણેની સિસ્ટમવાળી ભાજપમાં જોડાવા પણ માંગે તો પણ ભાજપા ભાવ ન આપતું હોય તેવું દેખાઈ આવે છે.