શું કે ગુજરાત? મારી વિધાનસભા બેઠક… મારો મત.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(40) સાણંદ – બાવળા વિધાનસભા બેઠક
સાણંદ-બાવળા વિધાનસભા બેઠક અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી બેઠક છે, જેનો મોટોભાગ GIDC ધરાવતો વિસ્તાર છે, ખાસ કરીને સાંણદે છેલ્લા 10 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે, સાણંદની આજુબાજુ ચાંગોદર અને છારોડી આમ બે મોટી GIDC છે, જેમાં સાણંદ અને બાવળા એમ બે તાલુકાની મળીને આશરે 5000 હજારથી વધારે કંપનીઓ છે.
આ બેઠક અગાઉ વિરમગામ વિધાનસભા બેઠકમાંથી અલગ કરવામાં આવેલી, અને હવે નવા સીમાંકન પ્રમાણે આ બેઠકમાં સાણંદ શહેર અને સાણંદ તાલુકાના તમામ 62 ગામો, જ્યારે બાવળા શહેર અને બાવળા તાલુકાના 30 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે આ બેઠકનો રાજકીય ઈતિહાસ
અહીંના દરેક પાર્ટીના નેતાઓની રાજકીય ગતિવિધિઓ ખૂબ ચર્ચાસ્પદ રહી છે, વર્ષ 2012ની ચુંટણીમાં આ બેઠક પરથી ભાજપે કમાભાઇ રાઠોડ અને કોંગ્રેસે કમશીભાઇ પટેલને સામસામે મેદાને ઉતરેલા, જેમાં કોંગ્રેસના ઉમેદવાર કરમશિભાઈ પટેલે ભાજપ નેતા કમાભાઈને 7721 મતોથી હરાવ્યા હતાં.
હવે 2012 માં કોંગ્રેસમાંથી જીતેલા કરમશીભાઈ પટેલ પાંચ વર્ષ પૂરા થાય તે પેહલા 2017ની ચુંટણી અગાઉ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા, અને તેમના પુત્રને ભાજપે 2017ની ચુંટણીમાં ઉમેદવાર બનાવ્યા, ત્યારે સામા પક્ષે ભાજપમાંથી હારેલા અને ફરીવાર જીતવાની રાહ જોઈ રહેલા કમાભાઈ રાઠોડને ભાજપે ટિકિટ ન આપી, પરિણામે કમાભાઈ અપક્ષ ઊભા રહ્યાં, ભાજપે સસ્પેન્ડ કર્યા, અંતે પક્ષ પલટો કરેલાં કમાભાઈના પુત્ર કનુભાઈ પટેલ 2017ની ચુંટણી જીતી ગયા, અને હાલમાં આ બેઠક પર ધારાસભ્ય છે.
ગત્ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ડાભીએ પણ ખૂબ સારી લડત આપી.
અહીંના મુખ્ય પ્રશ્નો / સમસ્યાઓ
અહીં સાણંદ અને બાવળા શહેરી વિસ્તારોની વિકાસ થયો છે, પણ ગામડાઓ ઘણા અંશે વિકાસથી દૂર છે, ખાસ કરીને ગામડાઓના રસ્તાઓની ખરાબ હાલત, પાક પિયત માટેે મળતાં અપૂરતા પાણીની સમસ્યા, રખડતા ઢોર મુદ્દે કાયમી નિરાકરણ, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, જીઆઈડીસીના કારણે થતું પ્રદૂષણ જેવી સમસ્યાઓ વર્ષોથી છે.
સાણંદ અને બાવળા આજુબાજુ ખૂબ પ્રમાણમાં ફેક્ટરીઓ છે, જેથી સાણંદની રેલવે કનેક્ટિવિટી વધે તેની માંગ પણ વધી રહી છે.
સાણંદ – બાવળા બેઠક પર જ્ઞાતિઓનું ગણિત
આ બેઠક પર કોળીપટેલ સમાજની વસતી વધારે જોવા મળે છે, જેનો મતદાન સમયનો મૂડ નિર્ણાયક હોય છે, માટેે આ વિધાનસભામાં દરેક પક્ષ કોળીપટેલ ઉમેદવારો જ ઉતારે છે.
આ વિધાનસભામાં વિવિધ જ્ઞાતિઓના મતદારોની વાત કરવામાં આવે તો
S.C સમાજ 21,098, S.T સમાજ 4011, મુસ્લિમ 10,813,
ઠાકોર સમાજ 24,257, કોળીપટેલ 63,771, રબારી સમાજ 10,338,
પાટીદાર સમાજ 4264ની સંખ્યામાં છે.
આગામી ચુંટણીમાં આ બેઠકની રાજકીય પરિસ્થિતિ
અહીંના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ હાલમાં ભાજપમાં છે, ઉપરાંત પાંચ વર્ષ પહેલાં ભાજપે જેને સસ્પેન્ડ કરેલાં તેવા કમાભાઇ રાઠોડ પણ થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
સંગઠિત માળખાની વાત કરીએ છે સાણંદ કોંગ્રેસનું ગણાય છે અને બાવળા ભાજપનો ગઢ રહ્યો છે, એટલે કયો પક્ષ જીતશે તે ઉભેલા ઉમેદવારના ચહેરાની છાપ ઉપર નક્કી થતું હોય છે.
જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે, ત્યારે તે ખાસ કરીને કોંગ્રેસનો અને મહદઅંશે ભાજપનો પણ મત કાપશે તે નિશ્ચિત છે.
© SatyaDay News