ક્રિપ્ટો પર પ્રતિબંધની જોરદાર હિમાયત કરતા, રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે સોમવારે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી પોન્ઝી સ્કીમ્સ કરતાં પણ ખરાબ છે અને દેશની નાણાકીય સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ક્રિપ્ટો-ટેક્નોલોજી એ સરકારી નિયંત્રણને ટાળવાની ફિલોસોફી પર આધારિત છે, જે ખાસ કરીને નિયમન કરેલ નાણાકીય વ્યવસ્થાને બાયપાસ કરવા માટે વિકસાવવામાં આવી છે.તેમણે ઉમેર્યું હતું કે ક્રિપ્ટો કરન્સી સિસ્ટમ મોનેટરી ઓથોરિટી, બેન્કિંગ સિસ્ટમ અને સામાન્ય રીતે સરકારની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાની ક્ષમતાને નષ્ટ કરી શકે છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશનની 17મી વાર્ષિક બેંકિંગ ટેક્નોલોજી કોન્ફરન્સ અને એવોર્ડ ઈવેન્ટમાં મુખ્ય વક્તવ્ય આપતા શંકરે કહ્યું, “આ તમામ પરિબળો એવા નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવો એ કદાચ ભારત માટે સૌથી યોગ્ય વિકલ્પ છે.”
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે કહ્યું, “અમે એ પણ જોયું છે કે ક્રિપ્ટોને ચલણ, સંપત્તિ અથવા કોમોડિટી તરીકે વ્યાખ્યાયિત કરી શકાતું નથી. તેની પાસે કોઈ અંતર્ગત રોકડ પ્રવાહ નથી. તેનું કોઈ આંતરિક મૂલ્ય નથી. તે પોન્ઝી યોજના છે. અને કદાચ તેનાથી પણ ખરાબ. તેને ઔપચારિક નાણાકીય વ્યવસ્થાથી દૂર રાખવા માટે તે પૂરતું કારણ હોવું જોઈએ.”
જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે RBI આગામી નાણાકીય વર્ષમાં બ્લોક ચેઈન આધારિત ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. સરકારે ડિજિટલ એસેટ્સ (ક્રિપ્ટો) પર પણ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં, રિઝર્વ બેંક ભારતની પોતાની સત્તાવાર ડિજિટલ કરન્સી લાવવા માટે કામ કરી રહી છે.હાલમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ મુદ્દે ચર્ચા કરી છે. સીતારામને કહ્યું, “આરબીઆઈ અને મંત્રાલય માત્ર ક્રિપ્ટો પર જ નહીં પરંતુ દરેક બાબતમાં સંપૂર્ણ સુમેળમાં કામ કરી રહ્યા છે. અમે એકબીજાના ડોમેનનું સન્માન કરીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે રાષ્ટ્રીય હિતમાં અમારે એકબીજાની પ્રાથમિકતાઓ સાથે કરવાનું છે.”