વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલા આર્થિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) દેશના આર્થિક વૃદ્ધિદરના અનુમાનને અગાઉના 6.1 ટકાથી 20 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.9 ટકા કર્યો છે. આઇએમએફનું આ અનુમાન અન્ય મલ્ટીલેટ્રલ ડેવલપમેન્ટ બેન્કોની તુલનામાં સૌથી ઓછુ છે. વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના વિકાસદરનું અનુમાન 6.3 ટકા અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે 6.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર વૈશ્વિક વૃદ્ધિદર આગામી વર્ષે સામાન્ય રીતે વધીને 3 ટકા પહોંચતા પહેલા 2023માં 2.8 ટકાના નીચલા સ્તર પર પહોંચી જશે. તે જ સમયે, ખરીદ શક્તિની સમાનતાના સંદર્ભમાં, માથાદીઠ ઉત્પાદનમાં ભારતનો વિકાસદર નાણાકીય વર્ષ 2023માં 5.8 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2023-24માં 4.9 ટકા થવાનો અંદાજ છે. આઇએમએફે પોતાના તાજેતરના દ્વિવાર્ષિક વૈશ્વિક આર્થિક આઉટલૂકમાં ભારતનો રિટેલ ફુગાવો નાણાકીય વર્ષ 2023-24માં 4.9 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં 6.7 ટકા હતો. સાથે જ આઇએમએફે ભારતની ચાલુ ખાતાની ખાધના અનુમાનને જીડીપીના 2.6 ટકાથી ઘટાડીને 2.2 ટકા કર્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી રિઝર્વ બેન્કની એમપીસી બેઠક દરમિયાન આરબીઆઇએ દરેકની ધારણાથી વિપરીત રેપોરેટ 6.50 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ અમેરિકામાં જોવા મળી રહેલી મોંઘવારી અને બેન્કોની નાદારી વચ્ચે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાનું વલણ યથાવત્ જોવા મળી રહ્યું છે. યુરોપમાં પણ આ જ પ્રકારનું વલણ જોવા મળ્યું છે.
Saturday, May 18