મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજપતિ કેશવ મહિન્દ્રાનું 99 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ 1962થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન તરીકે કાર્યરત રહ્યા હતા. અત્યારે આ પદ પર તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રા છે. કેટલાક સમય પહેલા ફોર્બ્સે તેમને 1.2 અબજ ડૉલરની સંપત્તિની સાથે ભારતના સૌથી વૃદ્ધ અબજપતિની યાદીમાં સ્થાન આપ્યું હતું. કેશબ મહિન્દ્રાના નિધનની જાણકારી શેર કરતા ઇનસ્પેસના અધ્યક્ષ પવન ગોયનકાએ પોતાના ટ્વિટર હેન્ડલમાં જણાવ્યું હતું કે બિઝનેસ જગતે આજે પોતાના સૌથી મહાન વ્યક્તિત્વમાંથી એક એવા કેશબ મહિન્દ્રાને ગુમાવ્યા છે. તેમની સાથે મુલાકાત હંમેશા શાનદાર રહી હતી. તેઓ બિઝનેસ, અર્થશાસ્ત્ર અને સામાજીક વસ્તુઓને નોંધપાત્ર રીતે એકબીજા સાથે જોડવાની પ્રતિભા ધરાવતા હતા. નોંધનીય છે કે બિઝનેસ જગતમાં કેશબ મહિન્દ્રાના યોગદાન માટે 1987માં ફ્રાન્સની સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજિત કર્યા હતા.
1947માં મહિન્દ્રા જૂથ સાથે કેશબ મહિન્દ્રા જોડાયા હતા
કેશબ મહિન્દ્રા પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી હાંસલ કર્યા બાદ 1947માં જ મહિન્દ્રા ગ્રૂપથી જોડાયા હતા. ત્યારબાદ 1963માં આ જૂથના ચેરમેન બન્યા હતા. તેમના નેતૃત્વમાં મહિન્દ્રા ગ્રૂપે સફળતાની ઊંચાઇઓ હાંસલ કરી હતી. વર્ષ 2012માં 48 વર્ષ સુધી ચેરમેન પદે ફરજ નિભાવ્યા બાદ આ પદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાને સોંપ્યું હતું. તદુપરાંત કેશવ મહિન્દ્રા તાતા સ્ટીલ, તાતા કેમિકલ્સ, ઇન્ડિયન હોટલ્સ જેવી કંપનીઓના બોર્ડમાં પણ સામેલ રહ્યા હતા.