India: રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2025ના અંત સુધીમાં યુરિયાની આયાત બંધ કરી દેશે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદન પર મોટા પાયે દબાણથી પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ મળી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતીય કૃષિ માટે ખાતરોની ઉપલબ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે દેશ છેલ્લા 60-65 વર્ષથી પાક ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યો છે. હવે સરકાર નેનો લિક્વિડ યુરિયા અને નેનો લિક્વિડ ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) જેવા વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહી છે.
મંત્રીએ કહ્યું, “વૈકલ્પિક ખાતરોનો ઉપયોગ પાક અને જમીનની ગુણવત્તા માટે સારો છે.
અમે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.” જ્યારે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે માંડવિયાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે યુરિયાની આયાત પર નિર્ભરતા દૂર કરવા માટે બે-પાંખીય વ્યૂહરચના અપનાવી છે. મંત્રીએ કહ્યું કે સરકારે ચાર બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી શરૂ કર્યા છે અને બીજી ફેક્ટરી ફરીથી શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારતને વાર્ષિક આશરે 350 લાખ ટન યુરિયાની જરૂર પડે છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે સ્થાપિત સ્થાનિક ઉત્પાદન ક્ષમતા 2014-15માં 225 લાખ ટનથી વધીને લગભગ 310 લાખ ટન થઈ ગઈ છે. મંત્રીએ કહ્યું, “હાલમાં વાર્ષિક સ્થાનિક ઉત્પાદન અને માંગ વચ્ચેનો તફાવત લગભગ 40 લાખ ટન છે.” તેમણે કહ્યું કે પાંચમો પ્લાન્ટ શરૂ થયા પછી, યુરિયાની વાર્ષિક સ્થાનિક ઉત્પાદન ક્ષમતા લગભગ 325 લાખ ટન સુધી પહોંચી જશે. 20-25 લાખ ટન પરંપરાગત યુરિયાના ઉપયોગને નેનો લિક્વિડ યુરિયાથી બદલવાનો લક્ષ્યાંક પણ છે. માંડિવ્યાએ કહ્યું, “અમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. યુરિયા માટે દેશની આયાત નિર્ભરતા 2025ના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરિયાનું આયાત બિલ ઘટીને શૂન્ય થઈ જશે.
સરકારી ડેટા અનુસાર, યુરિયાની આયાત 2022-23માં ઘટીને 75.8 લાખ ટન થઈ છે
જે ગયા વર્ષે 91.36 લાખ ટન હતી. યુરિયાની આયાત 2020-21માં 98.28 લાખ ટન, 2019-20માં 91.23 લાખ ટન અને 2018-19માં 74.81 લાખ ટન હતી. માંડવિયાએ કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ મુખ્ય પાક પોષક તત્ત્વો પર સબસિડી વધારીને વૈશ્વિક બજારોમાં ખાતરના ભાવમાં તીવ્ર વધારાથી ભારતીય ખેડૂતોનું રક્ષણ પણ કર્યું છે.