નવી દિલ્હી: અનિલ કુંબલેએ કૅપ્ટન વિરાટ કોહલી સાથેના ખૂબ ચર્ચાસ્પદ બનેલા ઘર્ષણને પગલે ટીમ ઇન્ડિયાના ચીફ કોચનો હોદ્દો છોડી દીધો છે. બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ગઈ કાલે રાત્રે બહાર પાડેલા નિવેદનમાં કુંબલેના રાજીનામાની બાબતને પુષ્ટિ આપી હતી.
કુંબલેનો એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ ચૅમ્પિયન્સ ટ્રોફીના અંત સાથે પૂરો થયો હતો, પરંતુ ક્રિકેટ બોર્ડે તેને વેસ્ટ ઇન્ડિઝના આ મહિનાના પ્રવાસના અંત સુધી કોચના સ્થાને ચાલુ રહેવાનો વિકલ્પ આપ્યો હતો. જોકે, કુંબલેએ આઇસીસીની વાર્ષિક પરિષદ માટે લંડનમાં રહેવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ભારતીય ટીમ લંડનથી બાર્બેડોઝ જવા રવાના થઈ હતી.
આઇસીસીની વાર્ષિક પરિષદ સોમવારે શરૂ થઈ હતી અને શુક્રવાર સુધી ચાલશે.
ક્રિકેટ બોર્ડની સલાહકાર સમિતિમાં સચિન, ગાંગુલી અને લક્ષ્મણનો સમાવેશ છે અને આ સમિતિએ લંડનમાં વિરાટ તથા કુંબલે સાથે મીટિંગો રાખી હતી. વિરાટે સમિતિને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે કુંબલે સાથેના તેના સંબંધો સાવ પડી ભાંગ્યા છે. ચૅમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કુંબલે અને વિરાટ ભાગ્યે જ એકમેક સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
કુંબલેના કોચિંગમાં ભારતીય ટીમે ૧૨ મહિના દરમિયાન એકંદરે સારું પર્ફોર્મ કર્યું હતું. તેઓ વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ-સિરીઝ જીત્યા હતા તેમ જ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને ઑસ્ટ્રેલિયા સામે શ્રેણીઓ જીત્યા હતા તેમ જ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રનર-અપ રહ્યા હતા.
ભૂતપૂર્વ કૅપ્ટન બિશનસિંહ બેદીએ કુંબલેની ‘વિદાય’થી વ્યથિત થતાં ટ્વિટર પર લખ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટના મોટા ગજાના ખેલાડી કુંબલે સામે જેણે પણ ‘બળવો’ પોકાર્યો તેણે દેખીતી રીતે કૃતજ્ઞતા અને ઉપકારની ભાવનાને જાણે ક્યાંય દૂર ફગાવી દીધી હશે.’
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન આકાશ ચોપડાએ પણ પીટીઆઇને કહ્યું હતું કે ‘કુંબલે-વિરાટ વિવાદના મામલાને સારી રીતે સંભાળવો જોઈતો હતો.
દરમિયાન, ક્રિકેટ બોર્ડે ચીફ કોચના હોદ્દા માટે નવી અરજીઓ મગાવી છે. આ પદ માટે વીરેન્દર સેહવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ અને લાલચંદ રાજપૂતે અરજી કરી છે.
દરમિયાન, બીસીસીઆઇના કાર્યવાહક પ્રમુખ સી. કે. ખન્ના અને કાર્યવાહક મંત્રી અમિતાભ ચૌધરીએ ભારતીય ટીમને કોચ તરીકેની સેવા આપવા બદલ કુંબલેનો આભાર માન્યો હતો. ચૌધરીએ જણાવ્યું હતું કે ‘કુંબલેના કોચિંગ દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં એક તબક્કે નંબર વન બની હતી. ભારતીય ટીમને અન્ય તરીકે કુંબલેની સેવાની હજી જરૂર છે જ. તે ભવિષ્યમાં સફળ થાય એવી બોર્ડ શુભકામના આપે છે.