નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ખાસ વિદેશી ટૂર માટેના બૅટિંગ-ક્ધસલ્ટન્ટ રાહુલ દ્રવિડ તથા બોલિંગ-ક્ધસલ્ટન્ટ ઝહીર ખાનની નિયુક્તિની ૧૧ જુલાઈએ જાહેરાત કર્યા પછી હવે યુ-ટર્ન લીધો છે. બીજી રીતે કહીએ તો ક્રિકેટ બોર્ડના આ નિર્ણયોને કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)એ અટકાવી દીધા છે તેમ જ આ નિર્ણયો લેનાર સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બનેલી ક્રિકેટ બોર્ડની સલાહકાર સમિતિ પ્રત્યે તીવ્ર નારાજગી બતાવ્યા પછી તેમના નિર્ણયોને નાકામિયાબ બનાવ્યા છે. ટીમ ઇન્ડિયાને દ્રવિડ-ઝહીરની જરૂર છે કે નહીં એ નક્કી કરવા વધુ એક સમિતિ નીમવામાં આવી છે.
આ બધુ જોતાં અનિલ કુંબલેના રાજીનામાને પગલે ભારતીય ક્રિકેટમાં કોચ તેમ જ તેના સપોર્ટ-સ્ટાફને લગતું જે નાટક ચાલી રહ્યું છે એ વધુ લંબાયું છે.
વહીવટદારોની સમિતિએ ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધીની રવિ શાસ્ત્રીની હેડ કોચ તરીકેની નિયુક્તિને મંજૂરી આપી છે, પરંતુ દ્રવિડ-ઝહીરની નિમણૂક પર રોક લગાવી છે. સીઓએ તરફથી ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું કે બાવીસમી જુલાઈ સુધીમાં શાસ્ત્રી સાથે મસલત કર્યા પછી ટીમ ઇન્ડિયા માટેના સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. એનો સીધો અર્થ એ થયો કે સીઓએ દ્વારા દ્રવિડ-ઝહીરની નિયુક્તિ માન્ય નથી રાખી.
ગઈ કાલે સીઓએના ચૅરમૅન વિનોદ રાય અને મેમ્બર ડાયેના એદલજી તેમ જ ક્રિકેટ બોર્ડના સીઇઓ (ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર) રાહુલ જોહરીની મીટિંગ યોજાઈ હતી જેમાં શાસ્ત્રીની નિમણૂકને મંજૂરી અપાઈ હતી. અનિલ કુંબલેએ વિરાટ સાથેના ઘર્ષણને પગલે કોચનો હોદ્દો છોડી દીધો એને પગલે શાસ્ત્રીને આ પદ સોંપાયું છે.
સીઓએ દ્વારા જોહરી તેમ જ બોર્ડના કાર્યવાહક પ્રમુખ સી. કે. ખન્નાના સમાવેશ સહિતની ચાર મેમ્બરની પૅનલ બનાવી છે જે શાસ્ત્રીને તેમ જ કોચિંગ-સ્ટાફના અન્ય મેમ્બરોને કેટલો પગાર આપવો એ નક્કી કરશે. ૧૯મી જુલાઈએ મીટિંગ રાખનાર આ પૅનલના બીજા બે મેબ્બરોમાં ડાયેના એદલજી તથા બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીનો સમાવેશ છે.
કહેવાય છે કે ગાંગુલી અને શાસ્ત્રી વચ્ચે સારા સંબંધો નથી અને શાસ્ત્રીની હેડ કોચ તરીકે નિયુક્તિ થયા પછી ગાંગુલીએ દ્રવિડ તથા ઝહીરને શાસ્ત્રીના કોચિંગ-સ્ટાફમાં લેવડાવ્યા હતા. જોકે, સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું છે કે ‘દ્રવિડ-ઝહીર વિશેની એ અમને કરવામાં આવેલી માત્ર ભલામણ હતી અને એ ભલામણો પર અમારે હેડ કોચ શાસ્ત્રી સાથે ચર્ચા કરવી પડશે.’
દરમિયાન, ઝહીરની નિયુક્તિ થયા પછી શાસ્ત્રીએ બોલિંગ-કોચ તરીકે ભરત અરુણ માગ્યો હતો. હવે કહેવાય છે કે શાસ્ત્રીને તેની પસંદગીનો સપોર્ટ-સ્ટાફ મળશે અને એ બાબતમાં શાસ્ત્રી સાથે સીઓએની ચર્ચા થઈ ચૂકી છે. શાસ્ત્રી જ્યારે જુનિયર ટીમ વતી રમતો ત્યારે ભરત અરુણ તેની ટીમમાં હતો. ત્યારથી બન્ને વચ્ચે બહુ સારી દોસ્તી છે.