ટેસ્ટના વર્લ્ડ નંબર વન ભારતે યજમાન અને સાતમી રૅન્ક ધરાવતા શ્રીલંકાને ગઈ કાલે ત્રીજી તથા આખરી ટેસ્ટ-મૅચમાં એક દાવ અને ૧૭૧ રનથી હરાવીને ૩-૦થી ક્લીન-સ્વીપ કરી હતી. એ સાથે, ૨૬ જુલાઈએ શરૂ થયેલી અને શરૂઆતથી જ ભારતના પ્રભુત્વ સાથે એકતરફી બની ગયેલી સિરીઝનો આખરે અંત આવ્યો હતો. ભારતીય ટીમે વિદેશી ધરતી પર ત્રણ કે વધુ મૅચવાળી કોઈ ટેસ્ટ-સિરીઝની તમામ મૅચ જીતી લીધી હોય એવો આ પહેલો જ બનાવ છે. ત્રણમાંથી એક પણ ટેસ્ટ પાંચમા દિવસમાં નહોતી પ્રવેશી. પહેલી બે મૅચ ચોથા દિવસે પૂરી થઈ હતી, જ્યારે ગઈ કાલે તો માંડ ત્રીજો દિવસ હતો ત્યાં (માત્ર અઢી દિવસમાં) મૅચ પર અને સિરીઝ પર પડદો પડી ગયો હતો.
વિરાટ કોહલીના સુકાનમાં ભારતની યંગ ટીમે ઐતિહાસિક અવસર માણ્યો, જ્યારે દિનેશ ચંદીમલના નેતૃત્વમાં શ્રીલંકા માટે જાણે એક ગોઝારું સપનું પૂરું થયું છે. છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો કોઈ પણ ટેસ્ટ-શ્રેણી આટલી બધી વન-સાઇડેડ નથી બની. શ્રીલંકાની ટીમને શરૂઆતથી જ પોતાના ખેલાડીઓની ઈજા નડી હતી. સિરીઝની પહેલી જ મૅચના પ્રથમ દાવમાં ૬ વિકેટ લેનાર મુખ્ય પેસ બોલર નુવાન પ્રદીપ પછીથી ઈજા પામતાં સિરીઝની બહાર થઈ ગયો હતો. ટોચનો સ્પિનર રંગાના હેરાથ પણ ઈજાગ્રસ્ત હાલતને લીધે અંતિમ ટેસ્ટમાં નહોતો રમ્યો. બૅટ્સમૅન અસેલા ગુણરત્ને અંગૂઠાની ઈજાને લીધે સિરીઝની શરૂઆતમાં બાકાત થઈ ગયો હતો. આ બધા ખેલાડીઓની ગેરહાજરીથી આઘાત પામેલી શ્રીલંકન ટીમ શ્રેણીમાં ક્યારેય બેઠી નહોતી થઈ શકી અને શરૂઆતથી અંત સુધી ભારતીય ટીમે સતતપણે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં વર્ચસ્વ જમાવ્યે રાખ્યું હતું.
ભારતે પ્રથમ દાવમાં ૪૮૭ રન બનાવ્યા પછી શ્રીલંકાને ૧૩૫ રને આઉટ કરીને ૩૫૨ રનની તોતિંગ લીડ લીધી હતી અને એને ફૉલો-ઑન આપ્યા બાદ ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ફરી એને ૨૦૦ રનનું ટોટલ જોવાનો મોકો નહોતો આપ્યો અને ફક્ત ૧૮૧ રને આઉટ કરીને એને વધુ એક નામોશી જોવડાવી હતી. રવિચન્દ્રન અશ્ર્વિને ગઈ કાલે ચાર, મોહંમદ શમીએ ત્રણ, ઉમેશ યાદવે બે અને બીજી જ ટેસ્ટ રમી રહેલા ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ કરિયરની પહેલી જ ટેસ્ટ-કરિયરમાં સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સૌ કોઈને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા અને કૅપ્ટન વિરાટ કોહલી તેના પર ખૂબ ખુશ થયો હતો. હાર્દિકને પ્રથમ દાવની વિક્રમજનક સદી (૧૦૮) બદલ મૅન ઑફ ધ મૅચનો તથા બે શાનદાર સદીની મદદથી શ્રેણીમાં સૌથી વધુ ૩૫૮ રન બનાવનાર શિખર ધવનને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઘણા મહિનાઓથી ટેસ્ટ-જગતમાં મોખરાનું સ્થાન જાળવનાર ભારતનું ટેસ્ટમાં વર્ચસ્વ જળવાયું છે. ૨૦૧૫ની સાલમાં ગૉલમાં શ્રીલંકા સામેના પરાજય પછીના બે વર્ષમાં ભારત જે ૨૬ ટેસ્ટ રમ્યું છે એમાંથી ૨૦ જીત્યું છે, ૧ ટેસ્ટમાં પરાજય થયો છે અને પાંચ મુકાબલા ડ્રૉ રહ્યા છે.
હવે બન્ને દેશ વચ્ચે ૨૦ ઑગસ્ટે પાંચ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે અને એ શ્રેણી પછી ૬ સપ્ટેમ્બરની એકમાત્ર ટી-ટ્વેન્ટી મૅચ સાથે ભારતનો શ્રીલંકા-પ્રવાસ પૂરો થશે.