IPL 2022ની શરૂઆતની મેચો પછી રેટિંગમાં ઘટાડો થયો છે. પાછલા વર્ષોની સરખામણીમાં ઘણા ઓછા લોકોએ ટીવી પર IPL મેચો જોઈ છે. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી એવું માનવામાં આવતું હતું કે દર્શકોની સંખ્યા વધશે અને લોકો વધુને વધુ મેચ જોશે. જો કે, આવું ન થયું, પ્રથમ સપ્તાહના રેટિંગ બહાર આવ્યા પછી જાણવા મળ્યું કે તેમાં 33 ટકાનો ઘટાડો થયો છે અને દર્શકોને હવે આ ટુર્નામેન્ટ નીરસ લાગી રહી છે. આ સાથે IPLના વ્યુઅરશિપમાં પણ 14 ટકાનો ઘટાડો થયો છે. આ પછી સવાલો ઉઠી રહ્યા છે કે દર્શકોને IPL મેચ કેમ પસંદ નથી આવી રહી. નીચે દર્શાવેલ કારણોના લીધે IPLના રેટિંગ ઘટ્યા છે.
1. બે નવી ટીમો આવવાથી મેચોમાં વધારો થયો, ટુર્નામેન્ટ નિરસ બની ગઈ
IPLમાં બે નવી ટીમોના આગમન બાદ એવું માનવામાં આવતું હતું કે દર્શકોની સંખ્યામાં વધારો થશે, પરંતુ થયું તેનાથી વિપરીત. પ્રેક્ષકો ઘટી ગયા. બે નવી ટીમોના આગમનથી મેગા ઓક્શન થયુ અને જૂની ટીમો માત્ર ચાર ખેલાડીઓને રિટેન કરવામાં સફળ રહી. હરાજી પૂરી થયા બાદ દરેક ટીમ ફ્રેશ થઈ ગઈ. 60 મેચોની ટૂર્નામેન્ટ 74 મેચની બની ગઈ. દર્શકોના મનપસંદ ખેલાડીઓ વિભાજિત થઈ ગયા અને તેઓને ટૂર્નામેન્ટનું ફોર્મેટ સમજવામાં મુશ્કેલી થવા લાગી. આ કારણથી લોકોએ મેચ જોવાનું બંધ કરી દીધું.
2. 18 મહિનામાં ચોથી વખત IPLનું આયોજન કરવામાં આવ્યું છે
IPL દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રમાય છે, પરંતુ કોરોના મહામારી બાદ આ ટૂર્નામેન્ટ 2020માં સ્થગિત કરવી પડી હતી. આ પછી 2021માં IPL સમયસર શરૂ થઈ, પરંતુ તેને સમાપ્ત થવામાં ઘણા મહિના લાગ્યા. IPL 2021ની ફાઈનલ ઓક્ટોબરમાં રમાઈ હતી અને IPL 2022 પાંચ મહિનામાં જ ફરી શરૂ થઈ ગઈ. 2021ની IPL બે ભાગમાં યોજાઈ હતી. જેના કારણે છેલ્લા 18 મહિનામાં ચાર વખત IPLનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટૂર્નામેન્ટને લઈને પ્રેક્ષકોનો રસ ઓછો થયો છે.
3. ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ કેપ્ટનશીપ છોડી
વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વિશ્વ ક્રિકેટના સૌથી મોટા ખેલાડીઓમાંથી એક છે. આ બંને અત્યાર સુધી તેમની IPL ટીમના કેપ્ટન હતા, પરંતુ આ વખતે બંનેએ કેપ્ટનશીપ છોડી દીધી છે. બંનેનું પ્રદર્શન પણ નીરસ રહ્યું છે. આ કારણે આ ખેલાડીઓના લાખો ચાહકો હવે IPL જોવાનું પસંદ કરતા નથી. ભારતનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પણ આ સિઝનમાં કોઈ કમાલ કરી શક્યો નથી.
4. ચેન્નઈ અને મુંબઈ જેવી લોકપ્રિય ટીમોનું ખરાબ પ્રદર્શન
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPLની બે સૌથી સફળ અને લોકપ્રિય ટીમો છે. આ ટીમોના પ્રશંસકોની સંખ્યા સૌથી વધુ છે. આ બંને ટીમોનું પ્રદર્શન આ સિઝનમાં સૌથી ખરાબ રહ્યું છે. મુંબઈ સતત પાંચ મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં દસમા સ્થાને છે. બીજી તરફ ચેન્નઈએ માત્ર એક મેચ જીતી છે અને તે નવમા સ્થાને છે. આ કારણે પણ આ ટીમોના ચાહકો IPLને વધારે રસથી જોઈ રહ્યા નથી.
5. રૈના, ગેલ, ડી વિલિયર્સ જેવા ખેલાડીઓ IPLનો ભાગ નથી
સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ આ વખતે IPLમાં નથી રમી રહ્યા. આ દિગ્ગજો IPLના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. તેમના જવાને કારણે ચાહકોનો IPLમાં રસ ઓછો થયો છે. રૈના-ધોની અને કોહલી-ડી વિલિયર્સની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ આ વખતે એવી જોડી પણ નથી અને ચાહકો મેચ જોવાની મજા લઈ રહ્યા નથી.
6. દક્ષિણ ભારતીય ફિલ્મો પણ એક કારણ
સામાન્ય રીતે IPL દરમિયાન બોલિવૂડની મોટી ફિલ્મો રિલીઝ થતી ન હતી. એવું માનવામાં આવતું હતું કે IPLના કારણે ફિલ્મની કમાણી ઓછી થશે, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોએ આ માન્યતાને તોડી નાખી. પહેલા RRR અને પછી KGF 2 જેવી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ અને દર્શકોને આ ફિલ્મો ખૂબ જ પસંદ આવી. IPL છોડીને મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા. જેના કારણે IPLનું રેટિંગ પણ નીચે આવ્યું છે.
7. બોર્ડની પરીક્ષાઓ
સામાન્ય રીતે, મોટાભાગની IPL મેચો બોર્ડની પરીક્ષાઓ પૂરી થયા પછી જ રમવામાં આવતી હતી. આવી સ્થિતિમાં શાળાએ જતા બાળકો આરામથી IPL મેચ જોતા હતા, પરંતુ કોરોનાના કારણે પરીક્ષાઓ મોડી યોજાઈ. કેટલાક રાજ્યોની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થવાના આરે છે. તે જ સમયે, CBSE અને અન્ય બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે અને IPL મેચ જોઈ રહ્યા નથી. તેમને અભ્યાસનું વાતાવરણ આપવા માટે પરિવારના બાકીના સભ્યો પણ મેચ જોતા નથી.
8. હોમ ગ્રાઉન્ડના અભાવે રોમાંચ ઓછો કર્યો
IPL 2019 સુધી તમામ ટીમો પોતાની અડધી મેચ હોમ ગ્રાઉન્ડ પર રમતી હતી. દરેક ટીમના હોમ ગ્રાઉન્ડની પીચ અલગ-અલગ હતી અને તે પીચના આધારે ટીમ તૈયાર કરવામાં આવી હતી. ખેલાડીઓ તૈયાર થયા. મુંબઈ અને રાજસ્થાન જેવી ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવવું મુશ્કેલ હતું, પરંતુ આ વખતે તમામ મેચ ચાર મેદાન પર જ રમાઈ રહી છે. ચારેય મેદાનોની પીચો લગભગ સરખી છે અને એક જ મેચને કારણે રમતનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે.