અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 શ્રેણી રમાઈ રહી છે. પહેલી મેચમાં કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી બીજી મેચમાં બદલો લીધો હતો. અને ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને બીજી મેચ પોતાના નામે કરી હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ લક્ષ્યને 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું. ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી અને 56 રન ફટકાર્યા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ અણનમ 73 રનની સ્ફોટક ઇનિંગ રમી. ચાલો જાણીએ ટીમ ઇન્ડિયાના જીતના કારણો..
પહેલું કારણ- ભારતમાં ટોસ હંમેશા અગત્યનો રહે છે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરી હતી અને બીજી મેચમાં કેપ્ટન કોહલીએ ટોસ જીત્યો. કોહલીએ પણ પહેલા બોલિંગ પસંદ કરી. ભારતમાં અંતિમ 14 ટી20 મેચની વાત કરીએ તો 11 મેચ લક્ષ્યનો પીછો કરનારી ટીમે જીતી છે.
બીજું કારણ- ડેથ ઓવરમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ધારદાર બોલિંગ કરી. ઈંગ્લેન્ડના બેટ્સમેન અંતિમ 5 ઓવરમાં માત્ર 35 રન કરી શક્યા અને બે વિકેટ ગુમાવી. આ કારણે સ્કોર 180 રન સુધી ન પહોંચી શક્યો. હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરે અંતિમ 5 ઓવરમાં માત્ર બે ફોર જ આપી.
ત્રીજું કારણ- પહેલી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મોટી પાર્ટનરશીપ નહોતા કરી શક્યા અને માત્ર એક અડધી સદી શ્રેયસ અય્યરે ફટકારી હતી. પરંતુ આ મેચમાં ઈશાન કિશન અને વિરાટ કોહલીએ 94 રનની પાર્ટનરશીપ કરી. બંને બેટ્સમેનોએ અડધી સદી પણ ફટકારી. એટલે કે ટોપ-3 બેટ્સમેને 129 રન કર્યા. પહેલી મેચમાં ટોપ-3 બેટ્સમેને માત્ર 5 રન કર્યા હતા.
ચોથું કારણ- પહેલી મેચમાં ભારતીય બેટ્સમેન 6 ઓવરના પાવર પ્લેમાં સારી રમત નહોતા દર્શાવી શક્યા. ટીમે માત્ર 22 રન કર્યા હતા અને 3 મોટી વિકેટ ગુમાવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ માત્ર એક વિકેટ ગુમાવી અને 50 રન કર્યા. અહીંથી જ ભારતને શાનદાર શરૂઆત મળી ગઈ.
પાંચમું કારણ- ટીમ ઈન્ડિયાના ત્રણ બોલરો ભુવનેશ્વર કુમાર, વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુરે માત્ર 7ની ઇકોનોમીથી રન આપ્યા. બીજી તરફ ઈંગ્લિશ બોલરોની વાત કરીએ તો ક્રિસ જોર્ડન, ટોમ કરેન અને બેન સ્ટોક્સે 13થી વધુની ઇકોનોમીથી રન આપ્યા. તેના કારણે ઇંગ્લિશ બોલરો ટીમ ઈન્ડિયા પર દબાણ ઊભું ન કરી શક્યા.