ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટમાં 120 રનની યાદગાર ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં 1-0ની લીડ મેળવી લીધી છે, જેમાં રોહિત શર્મા નાગપુર ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી છે. ટીમ ઈન્ડિયાના સિનિયર વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે રોહિતના જોરદાર વખાણ કર્યા છે. દિનેશ કાર્તિકનું માનવું છે કે રોહિત હાલના ત્રણેય ફોર્મેટનો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. રોહિત શર્માએ સફેદ બોલની ક્રિકેટમાં શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં 2019માં ઓપનર બન્યા બાદ તેણે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે.
દિનેશ કાર્તિકે ક્રિકબઝ પર કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. તે કોઈપણ ચર્ચા વિના દેશ માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તેણે તાજેતરમાં કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હતી. ભારતમાં, તેણે ટેસ્ટમાં ઓપનર તરીકે લગભગ 75ની એવરેજથી રન બનાવ્યા છે. જ્યારથી તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં મિડલ ઓર્ડર ઓપનર બન્યો ત્યારથી તેના માટે વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ.
જોકે, દિનેશ કાર્તિકને લાગે છે કે રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાં જેટલી પ્રશંસા થવી જોઈતી હતી તેટલી થઈ નથી. તેણે કહ્યું, ‘તમે જોઈ શકો છો કે તેને બેટિંગની મજા આવે છે. તે પહેલા ઝડપી બોલરો અને પછી સ્પિનરોને નિશાન બનાવે છે. તે એવો ખેલાડી છે, જે ભારત માટે ખૂબ જ ખાસ છે. પરંતુ ક્યારેક મને એવું લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં તેની જેટલી ઉજવણી થવી જોઈએ એટલી નથી થતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તેને જે પણ સમય મળ્યો છે, તેણે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.