ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની પ્રાઇમ પ્રોપર્ટી આઇપીએલના આઠ ફ્રેન્ચાઇઝીને આ વખતે રૂા.૧પ૦ કરોડનો જેકપોટ મળવાની ધારણા છે. બીસીસીઆઇ ૪ સપ્ટેમ્બરે આઇપીએલના મીડિયા રાઇટસની હરાજીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ વખતની ટુર્નામેન્ટ ટીમ માલીકો માટે ધમાકેદાર રહેવાનો અંદાજ છે.આગામી સીઝનમાં આક્રામક અંદાજ ન બાંધીએ તો પણ દરેક ફ્રેન્ચાઇઝીને રૂા.૧પ૦ કરોડ મળશે, જે દરેક ટીમને નફાકારક બનાવશે. ગણિત બહુ સહળ છે. આઇપીએલના અગામી પાંચ વર્ષના ટીવી રાઇટસ તેમજ ભારત અને વિદેશના ડિજિટલ હકના વેચાણમાંથી ઓછામાં આછા રૂા.૧ર,૦૦૦–૧૪,૦૦૦ કરોડ મળવાનો અંદાજ છે. ટાઇટલ સ્પોન્સર વિવો રૂા.ર,૧૯૯ કરોડનું કમિટમેન્ટ કરી ચૂકી છે. ટુર્નામેન્ટના ત્રણ કે ચાર સત્તાવાર ભાગીદાર ર૦૧૮થી ર૦રરના ગાળામાં રૂા.૭૦૦–૮૦૦ કરોડની રેન્જમાં રોકાણ કરશે. આ સાથે બીસીસીઆઇની તિજોરીમાં ઓછામાં ઓછા રૂા.૧પ,૦૦૦ કરોડ અથવા મહિને રૂા.૩,૦૦૦ કરોડ આવશે. બીસીસીઆઇ ર૦૧૮થી આઇપીએલના ૮ ફ્રેન્ચાઇઝીમાં રૂા.૩,૦૦૦ કરોડના ૪૦ ટકા હિસ્સાની વહેંચણી કરશે. આઇપીએલ ફ્રેન્ચાઇઝીના એક ટોચના એકિઝકયુટિવે જણાવ્યું હતુ કે, ખર્ચના અત્યારના માળખાને જોતા બધી ટીમ આગામી વર્ષે બ્રેકઇવન હાંસલ કરશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ખેલાડીના ખર્ચમાં ખાસ વધારો નહીં થાય તો નફાનો આંકડો રૂા.પ૦ કરોડ કરતા વધુ રહેશે. જોકે, એક ટીમ માલિકના જણાવ્યા અનુસાર ખર્ચ અંકુશમાં રહેશે તો જ નફાની આ ગણતરી સાચી પડશે.