નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી વધુ એક દિવસ હોસ્પિટલમાં રહેવા માંગે છે. હવે તેને બુધવારને બદલે ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હોસ્પિટલે તેની માહિતી નવીનતમ બુલેટિનમાં આપી હતી. 48 વર્ષીય સૌરવ ગાંગુલીની કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શનિવારે હળવા હાર્ટ એટેકથી પીડાતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હવે ઘરે ગાંગુલીના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.
હોસ્પિટલે બુધવારે સવારે કહ્યું, “ગાંગુલીને આવતીકાલે (7 જાન્યુઆરી, ગુરુવારે) રજા આપવામાં આવશે, કેમ કે તે અહીં વધુ એક દિવસ રોકાવા માંગે છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે અને સમયાંતરે યોગ્ય પગલા લઈ રહ્યા છે.
સૌરવ ગાંગુલીએ શનિવારે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, ગાંગુલીની હ્રદય નસમાં બાકીના અવરોધ માટે આગામી એન્જીયોપ્લાસ્ટી પછીથી નક્કી કરવામાં આવશે, કેમ કે તે પહેલા કરતાં ઘણા સ્વસ્થ છે.
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.દેવી શેટ્ટીએ મંગળવારે કહ્યું કે, સૌરવ ગાંગુલી ફિટ છે અને હવે તે પહેલાની જેમ સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે. તેને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.