નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્લેઓફ મેચ રવિવારથી શરૂ થવા જઈ રહી છે. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારા સમાચાર નથી આવી રહ્યા, જેમણે ટોચના બેમાં પોતાનું સ્થાન પાક્કું કરી દીધું છે. ટીમના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈના પ્લેઓફમાં રમશે કે નહીં તે નક્કી નથી.
સુરેશ રૈના ઈજાને કારણે IPL 14 ની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. સુરેશ રૈનાની ઈજા કેટલી ગંભીર છે તેના પર પરિસ્થિતિ સ્પષ્ટ નથી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરેશ રૈનાને દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી પ્લેઓફમાંથી બહાર થવું પડી શકે છે. CSK ફાઇનલમાં પહોંચે તો રૈના ઉપલબ્ધ થશે કે કેમ તે અંગે કોઇ અપડેટ જારી કરવામાં આવ્યું નથી.
ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગન પાસે પણ સુરેશ રૈનાની ઈજા અંગે કોઈ અપડેટ નથી. સ્ટીફને પંજાબ કિંગ્સના હાથે હાર બાદ સુરેશ રૈનાની ઈજા વિશે વાત કરી છે. ફ્લેમિંગે કહ્યું કે, સુરેશ રૈના વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં. સુરેશ રૈનાની ઈજા કેટલી ગંભીર છે તે અંગે મને કોઈ ખ્યાલ નથી.
યુએઈમાં રૈનાનું બેટ ચાલ્યું નહોતું
ઉલ્લેખનિય છે કે, સુરેશ રૈના ગયા વર્ષે CSK ની ટીમનો ભાગ નહોતો. રૈનાએ આ વર્ષે ટીમમાં વાપસી કરી હતી. ભારતમાં રમાયેલી IPL 14 ના પહેલા હાફમાં રૈના સારા ફોર્મમાં હતો પરંતુ યુએઈ પહોંચ્યા બાદ તેનું બેટ શાંત થઈ ગયું.
સુરેશ રૈનાના સ્થાને, CSK એ છેલ્લી બે મેચમાં રોબિન ઉથપ્પાને ટીમમાં સ્થાન આપ્યું છે. રોબિન ઉથપ્પા જોકે બંને મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. જોકે, CSK ઉથપ્પાને પ્લેઓફમાં રમવાની તક આપી શકે છે.