નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપેલી જાણકારી મુજબ આગામી જુલાઇ માસમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. જોકે એ દરમ્યાન ટીમ ઇન્ડીયાની બીજી ટીમ શ્રીલંકા પહોંચશે, કારણ કે ટેસ્ટ ટીમ ઇંગ્લેંડમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી ને લઇને રોકાયેલી હશે.
શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ભારત એ 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ 5 જુલાઇ એ શ્રીલંકા પહોંચવાની સંભાવના છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. જે અંગેના સંકેત SLCના ચેરમેન અર્જૂન ડિ સિલ્વા એ પ્રસારણ સંસ્થા સાથે ની વાતચીતમાં આપ્યા હતા.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે, તમામ મેચ એક જ સ્થળ પર પુરા કરવા ઇચ્છીએ છીએ. અત્યાર સુધીનો જે પ્લાન છે, જે મુજબ પ્રેમદાસા તે સ્થળ હોઇ શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ શ્રીલંકા પ્રવાસે જનારી ટીમના કોચ પારસ મહામ્બ્રે હોઇ શકે છે.
કારણ કે રેગ્યુલર કોચ રવિ શાસ્ત્રી તે સમયે ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને લઇને ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડમાં હશે. જાણકારી એમ પણ છે કે, રાહુલ દ્રાવિડ પણ ટીમ સાથે શ્રીલંકા સાથે જઇ શકે છે. જોકે BCCI ના સુત્રો મુજબ હજુ કંઇ જ નિશ્વિત નથી.
5 જુલાઇ એ શ્રીલંકા પહોંચવા બાદ ભારતીય ટીમ 13,16 અને 19 જુલાઇ એ વન ડે સિરીઝ ની ત્રણેય મેચ રમી શકે છે. જ્યારે 22, 24 અને 27 જુલાઇ એ T20 સિરીઝ ની ત્રણ મેચ રમી 28 જુલાઇએ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરશે.